વડાવળ : સમગ્ર રાજ્યભરમાં ઉનાળાની કાળઝાળ ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ રહી છે. ઉપરાંત પશુઓના ઘાસચારા ની પણ ભારે સમસ્યા જોવા મળી રહી છે. તેની વચ્ચે દુષ્કાળગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાની સ્થિતિ પણ ખૂબ જ વિકટ જોવા મળી રહી છે. જિલ્લામાં આવેલી ગૌશાળામાં રહેલા પશુધનનો ને ઘાસચારા વિના પણ ટળવળી રહયા છે. રાજ્ય સરકાર પણ ચૂંટણી બાદ હાથ ઉંચા કર્યા હોવાનો ગૌશાળા સંચાલકો જણાવી રહ્યા છે. એક બાજુ દુષ્કાળની સ્થિતીને પગલે બનાસકાંઠા જિલ્લામાં રહેલા ગૌશાળાના પશુધનનો ઉપરાંત સ્થાયી પશુધનની ઘાસચારાના પગલે વિકટ સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે અન્ય જિલ્લામાંથી તથા રાજસ્થાનમાંથી હજારોની સંખ્યામાં પશુઓનો લઈ માલધારીએ જિલ્લામાં ધામા નાખ્યા છે.
ડીસા પંથકના માર્ગો પર હજારોની સંખ્યામાં પશુધન ભટકતુ જોવા મળી રહ્યું છે. ઉનાળાની વિકટ પરિસ્થિતિમાં માલધારીઓ પશુને સાચવવા ધગધગતા તાપમાં પણ ઘાસચારાની શોધમાં ફરતા જોવા મળી રહ્યા છે ત્યારે ડીસા પંથકમાં શક્કરટેટીના ખેતરો ત્યારબાદ બાજરીના પાક લઈ લેતા તે ખેતરોમાં ભેલાણ થતા પશુધન થોડા સમય માટે નિરવા મળી રહેશે. જેને લઇ મોટી સંખ્યામાં માલધારી હજારો પશુધન લઈ ડીસા પંથકમાં પડાવ નાખ્યો છે.