તિહાડ જેલમાં નિર્ભયાના ગુનેગારોને ફાંસીના માચડે લટકાવાની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. નિર્ભયાના ચારેય ગુનેગારોને એક સાથે જ ફાંસીએ લટકાવવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. તિહાડ જેલ દેશની પહેલી એવી જેલ બની ગઈ છે જે એક સાથે ચારેયને ફાંસી આપવા તૈયાર છે.અત્યાર સુધી અહીં ફાંસી આપવા માટે એક તખ્તો તૈયાર હતો, પણ તેની સંખ્યા વધારીને હવે ૪ કરી દેવામાં આવી છે. ૧૬ ડિસેમ્બર, ૨૦૧૨ ના રોજ દિલ્હીમાં ૬ નરાધમોએ ચાલુ બસે દિલ્હીમાં નિર્ભયા પર સામુહિક દુષ્કર્મની તમામ હદો પાર કરી તેને મોતના મુખમાં ધકેલીની ભાગી ગયા હતાં.તિહાડ જેલમાં તખ્તો તૈયાર કરવાનું કામ લોક નિર્માણ વિભાગ એટલે કે PWDએ ગત સોમવારે જ પૂર્ણ કરી લીધું હતું. તિહાડ જેલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કામ પૂરૂ કરવા માટે જેલની અંદર જેસીબી મસીન પણ બોલાવવામાં આવ્યું હતું.જેસીબી મશીનની મદદથી ત્રણ નવી ફાંસીના તખ્તા અને સુરંગ તૈયાર કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફાંસીના તખ્તાની નીચે એક સુરંગ પણ બનાવવામાં આવી છે. આ સુરંગ મારફતે જ ફાંસી બાદ મૃત્યુ પામેલા કેદીના મૃતદેહને બહાર કાઢવામાં આવે છે. આમ ત્રણ નવાની સાથે ફાંસીના જુના તખ્તાને પણ બદલી નાખવામાં આવ્યો છે.નિર્ભયા પર દરિંદગી ગુજારનારા ચારેય દોષિતોને ફાંસી આપવાના અમલ પર અંતિમ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દોષિતો અક્ષય, પવન, વિનય અને મુકેશના ડેથ વોરંટ પર પટિયાલા હાઉસ કોર્ટ ૭ જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરશે.