પાલનપુર : દાંતા તાલુકાના જોધસરના યુવકની ઝઘડાની અદાવતમાં નિર્મમ હત્યા કરનારા આરોપીને પાલનપુરની સેસન્સ કોર્ટના ન્યાયાધીશે આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો. દાંતાના જોધસર ગામની આઠ માસ અગાઉ બનેલી ઘટનાની વિગતો એવી છે કે, જોધસર ગામના મનુભાઇ નેવીયાભાઇ ઉર્ફે નેવાભાઇ પરમારે અગાઉ દાંતા ખાતે થયેલા ઝઘડાની અદાવત રાખી રતાભાઇ નાથાભાઇ કોદરવી ઉપર તલવાર અને કુહાડી વડે હૂમલો કરી નિર્મમ હત્યા કરી હતી. આ અંગે હદાભાઇ નાથાભાઇ કોદરવીએ અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ બનાસકાંઠા સેસન્સ કોર્ટ પાલનપુર ખાતે બુધવારે ચાલી જતાં ચોથા એડી. સેસન્સ જજ રાજકુમાર રામસિંહ ચૌધરીએ સરકારી વકીલ નૈલેષ એમ. જોષીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી મનુભાઇ પરમારને હત્યાના ગૂનામાં તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂપિયા ૨૦,૦૦૦નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા કરવાનો હૂકમ કર્યો હતો.