"ન જાણ્યુ જાનકી નાથે સવારે શું થવાનું છે" તે ઉક્તિ દાંતા તાલુકાના ધાબા વાળી ગામના આદિવાસી પરિવાર માટે સાચી ઠરી છે. પાલનપુર તાલુકાના સોનગઢ ગામ પાસે વતનની વાટ પકડવાની રાહ જોઈ રહેલા શ્રમિક પરિવાર પર એક કાળમુખી ટ્રક ફરી વળતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાળકીનું મોત થયું હતું. જ્યારે 4 લોકો ઘાયલ થયા હતા.
સોનગઢ પાસે બેફામ આવતી ટ્રકે દાંતા તાલુકાના ધાબાવાળી વાવ ગામના શ્રમિક પરિવારને અડફેટે લીધો હતો. આદિવાસી શ્રમિક પરિવારની માતા અને તેના 4 બાળકો વતન જવા માટે વાહનની રાહ જોઈ હાઇવે પર બેઠા હતા. ત્યારે કાળ બનીને આવેલી ટ્રક માતા તેમજ તેના ચાર સંતાનો પર ફરી વળી હતી. જેમાં એક બાળકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જયારે માતા અને ત્રણ બાળકો સહીત 4 લોકો ઘાયલ થયા હતા. જયારે ઘરના મોભી પાણી પીવા ગયા હોઈ તેઓનો બચાવ થયો હતો. દરમિયાન, ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પાલનપુર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રક ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.