અમદાવાદ: અમદાવાદ શહેરની ૩૦થી વધારે પોસ્ટ ઓફિસ ૧લી સપ્ટેમ્બર શનિવારથી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક (આઈપીબીએસ) બની જશે. શહેરમાં નવરંગપુરા મેઈન જીપીઓ મણિનગર, બોપલ, નારણપુરા, આંબાવાડી સહિતની ૩૨ જેટલી પોસ્ટ ઓફિસ માટેની આઈપીબીએમ માટેનું લોન્ચિંગ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે શનિવારે કરાશે.
મુખ્ય પોસ્ટ ઓફિસ સહિત કેટલીક સબ ઓફિસની પણ બેન્કિંગ સિસ્ટમ માટે પસંદગી કરાઈ છે. પ્રારંભિક ધોરણે શહેરમાં ૩૨થી વધુ પોસ્ટ ઓફિસમાં બેન્કિંગ શરૂ કરાશે.
ત્યાર બાદ ક્રમશઃ તબક્કાવાર તેનું વિસ્તરણ કરાશે. આ અંગે નવરંગપુરા પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર અલ્પેશ શાહના જણાવ્યા અનુસાર બેન્કિંગ અને ઈ પેમેન્ટ સહિતની સેવાઓ પોસ્ટ ઓફિસમાં શરૂ કરવામાં આવશે.
હવેથી નાગરિકો પોસ્ટ ઓફિસ ખાતેદારોને પોસ્ટ ઓફિસમાં એસ.એસ બેન્કિંગ, આરટીજીએસ, સાઈ એનપીએસ, ઈકેવાયસી, ડિજિટલ એકાઉન્ટસ વગેરે તમામ સેવાઓ તદ્દન નજીવા દરે મળશે. પોસ્ટમેન ઘર આંગણે સેવિંગ બેન્ક એકાઉન્ટ ખોલી આપશે એટલું જ નહીં વૃદ્ધો અને અશક્ત નાગરિકોને ઘેર બેઠાં બેન્કની તમામ સુવિધાઓ મળશે.
પોસ્ટ ઓફિસમાં સેવિંગ ખાતું ખોલાવનાર ખાતેદારને એટીએમ અને ચેકબુકની સેવા માટે એક પણ રૂપિયો ચૂકવવો પડશે નહીં.