પોલેન્ડની વૉર્સો હોસ્પિટલમાં ટૂંકી માંદગી બાદ અમદાવાદી યુવકનું મોત થયું છે. ઉચ્ચ અભ્યાસ માટે પોલેન્ડ ગયેલા યુવકના નિધનને 6 દિવસ થયા હોવા છતાં પરિવારને હજુ સુધી પોલેન્ડની હોસ્પિટલમાંથી યુવકનો મૃતદેહ મળ્યો નથી. 20 વર્ષીય મૃતકના પરિવારે ઈન્ડિયન એમ્બસી અને સરકાર પાસે મદદ માગી હોવાછતાં હજુ સુધી કોઈ પરિણામ મળ્યું નથી.
પાલડી વિસ્તારમાં રહેતા સિવિલ એન્જિનિયર સંજય મહેતાનો પુત્ર પ્રયાગ મહેતા 2018ના માર્ચ મહિનામાં આર્કિટેક્ચર એન્જિનિયરિંગ અને અર્બન પ્લાનિંગનો અભ્યાસ કરવા માટે પોલેન્ડ ગયો હતો. પ્રયાગે પોલેન્ડના વૉર્સોની વિસ્ટલા (Vistula) યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. 27 ઓક્ટોબરના રોજ મહેતા પરિવારને યુનિવર્સિટી તરફથી જાણ કરવામાં આવી કે 22 ઓક્ટોબરે સવારે પ્રયાગને હોસ્પિટલમાં દાખલ કરાયો અને તેની સ્થિતિ ગંભીર હતી.
મહેતા પરિવારને આપવામાં આવેલી માહિતી પ્રમાણે, પ્રયાગ 21 ઓક્ટોબરે સાંજે બહાર ગયો હતો. ત્યારથી જ પ્રયાગના ફ્રેંડ્સને તેના તરફથી કોઈ સંદેશ મળ્યો નહોતો. પ્રયાગના મિત્રોએ આ વિશે પોલીસ અને યુનિવર્સિટી સત્તાધીશોને જાણ કરી. 23 ઓક્ટોબરે પ્રયાગના ગુમ થવાની પોલીસ ફરિયાદ નોંધાઈ. તપાસ બાદ પોલીસે યુનિવર્સિટીને જાણ કરી કે યુવકને એક સ્થાનિક હોસ્પિટલના ICCUમાં દાખલ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીએ મહેતા પરિવારને આ વિશે જાણ કરતાં જ પ્રયાગના પિતા પોલેન્ડ આવવા નીકળી ગયા. કમનસીબે 1 નવેમ્બરે પ્રયાગનું નિધન થયું હતું.