સુરતનાં કોમ્પલેક્સમાં ભયંકર આગ લાગતા ફાયર બ્રિગેડની 57 ગાડી, 200 કર્મીઓ ઘટનાસ્થળે
GmIX1kh1ixU
સુરત :
સુરતનાં પુણા કુંભારીયા રોડ પર આવેલા રધુવીર સેલિયમ માર્કેટમાં મોડી રાતે વિકરાળ આગ લાગી છે. હાલ શહેરની તમામ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી જઇને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. આ સાથે બારડોલીથી પણ ફાયર બ્રિગેડની ગાડીઓ મદદે આવી ગઇ છે. 15 દિવસ પહેલા પણ આ જ બિલ્ડીંગમાં આગ લાગી હતી. સદનસીબે જાનહાનીનાં કોઇ સમાચાર મળી નથી રહ્યાં. આ ગોઝારી ઘટનામાં કડોદરા સુરત કોસ્ટલ હાઇવે બંધ કરાવ્યો છે.
મોડી રાતે લાગેલી આગ એટલી વિકરાળ છે કે સવારે સડા સાત સુધી પણ આગ કાબૂમાં લેવામાં આવી નથી. આ વિકરાળ આગને બુઝાવવા માટે 57 જેટલી ફાયર બ્રિગેડનીગાડીઓ અને 200થી વધારે કર્મચારીઓ પ્રયત્નો કરી રહ્યાં છે. આ સાથે 3 હાઇડ્રોલિક ક્રેનથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.
પ્રાથમિક અનુમાન પ્રમાણે શોર્ટ સર્કિટનાં કારણે આ આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે. મહત્વનું છે કે, 8મી જાન્યુઆરીનાં રોજ પણ આ બિલ્ડીંગમાં આગ લાગી હતી.
આ બિલ્ડીંગમાં 15 દિવસ પહેલા પણ આગ લાગી હતી અને આજે ફરીથી અહીં વિકરાળ આગ લાગી છે. આ બિલ્ડીંગ પાસે ફાયરનું એનઓસી સર્ટિફિકેટ પણ છે. તો સવાલ એ થાય કે, આ બિલ્ડીંગ કે જેમાં 500થી વધુ દુકાનો આવેલી છે, હજારો લોકોની અહીં રોજ અવરજવર છે તો ફાયર વિભાગે કોઇ પણ તપાસ કર્યા વગર આ બિલ્ડીંગને એનઓસીનું સર્ટીફિકેટ આપી દેવામાં આવ્યું?
ફાયર બ્રિગેડનાં અધિકારી સાથે આ અંગે વાત કરતા જણાવ્યું કે, 'શહેરની તમામ ફાયરની ગાડીઓ અહીં બોલાવવામાં આવી છે. તમામ ફાયર સ્ટેશનનાં બધા જ કર્મચારીઓને પણ બોલાવી દેવામાં આવ્યાં છે. આ આગ સાતમાં માળથી 13માં માળ સુધી પ્રસરી ગઇ છે. એલિવેશનનાં કારણે અંદર જઇ નથી શકાતું અને બિલ્ડીંગની બનાવટ એવી છે જેના કારણે સ્મોક લોક થઇ ગયું છે. હજી આ આગ પર કુલિંગ સાથે કાબુ મેળવતા હજી 24 કલાક લાગી શકે છે. '
તસ્વીર અહેવાલ : વસંત બારોટ