રાધનપુર : રાધનપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઇ દેસાઈ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ઉમેદવારીપત્રો પાછા ખેંચાયા બાદ મેદાનમાં ૧૦ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે,જેમાં કોંગ્રેસ, ભાજપ અને એન.સી.પી.ના ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો જંગ ખેલાય તેવું લાગી રહ્યું છે.જેમાં કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઇ દેસાઈ દરરોજ ગામેગામ જઈને ગ્રામસભાઓ ભરીને લોકોને ભાજપ સરકારની લોકો વિરોધી નીતિઓની જાણકારી આપીને ભાજપને જાકારો આપવા અપીલ કરી રહ્યા છે.આ ઉપરાંત પોતે જો જીતશે તો એક સાચા પ્રતિનિધિ બનીને લોકોની સાચા દિલથી સેવા કરશે તેમ ઉમેરીને રાધનપુર વિધાનસભા વિસ્તારના વિકાસ માટે સાચા દિલથી મહેનત કરશે તેમ કહીને લોકોના દિલ જીતી રહ્યા છે. રઘુભાઇ દેસાઈએ શુક્રવારે સિનાડથી શરુ કરીને ભાડિયા,જેતલપુરા, નાનાપુરા,બાદરપુરા,કામલપુર,ધરવડી,લક્ષ્મીપુરા,વડનગર,અરજણસર,વિજયનગર,અલ્હાબાદ,સુબાપુરા,સુલ્તાનપુરા,દેવ,બંધવડ,કોલાપુર,શેરગંજ,પોરાણા, નવા પોરાણા અને સરદારપુરા યાત્રા કરીને લોકસંપર્ક કર્યો હતો.