આજ સુધી તમે લગ્નોમાં બંને પક્ષની મારઝૂડ અથવા વેટર્સ સાથેની લડાઈ ઝગડાના કિસ્સા સાંભળ્યા હશે પરંતુ અંબાલામાં એવું પહેલી વાર થયું કે, 20થી વધારે વેટર્સે ભેગા થઈને સગાઈમાં આવેલા બંને પક્ષના લોકોની ખૂબ ધોલાઈ કરી. આ મારઝૂડમાં સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને ચંદીગઢ સેક્ટર-32માં આવેલી જીએમસીએચ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ સિવાય, વેટર્સે હોટલની બહાર ઊભી રહેલી 6 ગાડીઓમાં પણ તોડફોડ કરી હતી. આટલું જ નહીં વેટર્સે હોસ્પિટલમાં દાખલ એક વ્યક્તિ ઉપર પણ ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો. ઘટના શહેરના નોવલ્ટી રોડ પર આવેલા ઈમ્પીરિયન ગાર્ડન પેલેસની છે. મંગળવારે રાતે અહીં રિંગ સેરેમનીનો કાર્યક્રમ ચાલતો હતો.તે દરમિયાન કોઈ વેટરે કોઈ યુવતીની છેડતી કરી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાતે 12.30 વાગે રિંગ સેરેમનીનું ફંક્શન પુરૂ થઈ ગયું હતું. મોટા ભાગના મહેમાનો જતા પણ રહ્યા હતા. જ્યારે અમુક નજીકના સંબંધીઓ રહ્યાં હતાં અને જમવાનું ચાલી રહ્યું હતું. તે દરમિયાન પેલેસમાં હાજર એક વેટરે એક યુવતીની છેડતી કરી હતી. વેટર સાથે ઝઘડો થતાં અન્ય 20 વેટર્સ ભેગા થઈ ગયા અને તેમણે મારઝૂડ શરૂ કરી દીધી હતી. વેટર્સ દ્વારા કરવામાં આવેલા હુમલામાં નારાયણ ગઢમાં રહેતા લલિત, સંજીવ, સુરજીત અને જ્ઞાના દેવીને ગંભીર ઈજા થઈ છે. આ દરેક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમાંથી અમુક લોકોને ફ્રેક્ચર થયું છે. આ દરમિયાન ઈમ્પીરિયન ગાર્ડનના રોહિતને પણ ઈજા થઈ છે.
પેલેસ અને હોસ્પિટલમાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે. હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ જોતા ખ્યાલ આવે છે કે હુમલાખોરો રાતે બે-અઢી વાગે હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમની પાસે હથિયાર હતાં. ઘાયલ હીરા નગરમાં રહેતા રોહિતે જણાવ્યું કે, જ્યારે પેલેસમાં આ ઘટના બની તો તેના માલિકે બહારથી અન્ય લોકોને બોલાવ્યા હતા. જે હોસ્પિટલ પહોંચ્યા હતાં. તેમાંથી એક વ્યક્તિએ રોહિતના માથા પર હુમલો કર્યો હતો.
કૃષ્ણ ગોપાલની દીકરીની રિંગ સેરેમનીની આ પાર્ટી હતી. કૃષ્ણ ગોપાલે જણાવ્યું કે, અમે રિંગ સેરેમની માટે પેલેસ બુક કર્યો હતો. સંચાલક મનીષ છાબડાને એરેંન્જમેન્ટની સમગ્ર જવાબદારી સોંપી હતી. તેમણે જ આ વેટર્સ બોલાવ્યા હતા. બાકીની અન્ય વ્યવસ્થા પણ તેની જવાબદારીમાં હતી. તેમ છતા પેલેસમાં તેમના પરિવારજનો પર હુમલો કરવામાં આવ્યો. હાલ પોલીસ ઘાયલોના નિવેદન લઈને તપાસ કરી રહી છે.
એસપી-ડીસી આ પ્રકારનો બિઝનેસ કરતાં લોકોને સતત અપીલ કરી ચૂક્યા છે કે, તેઓ કામ કરનાર દરેક લોકોની ઓળખ મેળવી લે. તેમ છતાં હોટલ, પેલેસ અને બેંકટ્સના અધિકારીઓ આ નિયમનું પાલન કરતા નથી અને ગમે તેને વેટર્સ તરીકે લઈ આવે છે.
જો વેટર્સ આ પ્રમાણેની કોઈ હરકત કરે તો તેમને રોકવાની સૌથી પહેલી જવાબદારી સંચાલકની હોય છે. જો કેટરર્સ વેટર્સને લઈને આવ્યા હોય તો તેમણે આરોપીઓને રોકવા જોઈએ અને પોલીસ અથવા એસોસિયેશનને તેની જાણ કરવી જોઈએ.