રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુરની જી.ડી.મોદી કોલેજમાં વિધાર્થીઓ પાસેથી લેવાતી ડિપોઝીટ મામલે અખિલ ભારતીય વિધાર્થી પરિષદે આંદોલનનો માર્ગ અખત્યાર કર્યા બાદ ઉ.ગુ.યુનિવર્સિટી દ્વારા તપાસ ટીમની નિમણૂંક કરાઇ હતી. જે તપાસ ટીમના સભ્યોએ આજે પાલનપુર કોલેજની મુલાકાત લઈ વિદ્યાર્થીઓની રજૂઆતો સાંભળી હતી. પાલનપુરની જીડી મોદી કોલેજમાં રૂ. બે હજાર જેટલી ડિપોઝિટ ઉઘરાવવાના મુદ્દે એબીવીપી દ્વારા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રજૂઆત કરાઇ હતી. છતાં પરિણામ ન મળતા આંદોલનનો માર્ગ અપનાવાયો હતો. જેને પગલે યુનિવર્સિટીની ચાર સભ્યોની બનેલી ટીમ પાલનપુર કોલેજમાં દોડી આવી હતી. ટીમના સભ્યોએ વિદ્યાર્થીઓની રજૂઆતો સાંભળી હતી. જેમાં સરકાર દ્વારા હેલ્મેટ પહેરવું મરજિયાત હોવા છતાં હેલ્મેટ વિના કોલેજના છાત્રોને વાહન સાથે કોલેજમા પ્રવેશ ન અપાતા હોવાની તેમજ કોલેજમાં પીવાના પાણી માટે અલગ અલગ જગ્યાએ વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરી હતી.
યુનિવર્સિટી દ્વારા નિમાયેલી ટીમના અધ્યક્ષ અને યુનિવર્સિટીના સિન્ડીકેટ મેમ્બર હરેશભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે 'અમારી ટીમ દ્વારા કોલેજમાં તપાસ કરાઇ છે.કોલેજને ૧ સપ્તાહમાં ઓન પેપર માહિતી પૂરી પાડવા માટે સમય આપવામા આવ્યો છે. જે માહિતી આવ્યા બાદ યુનિવર્સિટીની ટીમ આ બાબતે વધુ તપાસ કરી નિર્ણય લેશે.