નવીદિલ્હી
નાગરિક સુધારા કાનૂનની સામે દેશભરમાં જારી હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક રામ લીલા મેદાનથી દેશભરના તમામ લોકોને સીધો સંદેશ આપ્યો હતો.
નાગરિક સુધાર કાનૂનને લઇને હિંસા ઉપર ઉતરેલા તોફાની તત્વોને પણ મોદીએ ખુલ્લો પડકાર ફેંકીને લોકોને સાવધાન કર્યા હતા. સાથે સાથે મોદીએ કહ્યું હતું કે, નાગરિક સુધારા કાનૂન અને એનઆરસીના મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કોંગ્રેસ, શહેરી નક્સલવાદીઓ અને અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, ધર્મના નામ ઉપર મુસ્લીમોને ભ્રમિત કરવાના પ્રયાસ થઇ રહ્યા છે.
વર્તમાન નાગરિક સુધારા કાનૂનને દેશમાં રહેતા ૧૩૦ કરોડ લોકોને કોઇ લેવા દેવા નથી. ૧૩૦ કરોડ લોકોની સુરક્ષાને લઇને કોઇપણ ભય નથી. બિનજરૂરી રીતે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. ધારણા પ્રમાણે જ મોદીએ આ રેલીમાં નામ લઇને વિરોધ પક્ષો ઉપર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ, એએપી, ડાબેરીઓ, ટીએમસી સહિતના પક્ષોની જારદાર ઝાટકણી કાઢી હતી. બુદ્ધિજીવીઓ પોતાના શિક્ષણને માન આપીને આગળ વધે તે પણ જરૂરી હોવાની વાત મોદીએ કરી હતી. દિગ્ગજા દ્વારા મેળવવામાં આવેલા શિક્ષણને પણ બદનામ કરવાનું કામ કર્યું છે.