અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યમાં તમામ એરપોર્ટ પર પાર્કિંગનો ચાર્જ ઘટાડી દેવામાં આવશે. અત્યંત આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે કાર પાર્કિંગનો ચાર્જ માત્ર ૨૦ રૂપિયા કરવાની તજવીજ હાથ ધરાઇ છે.
અમદાવાદ એરપોર્ટના ટોચના અધિકારીઓ દ્વારા ગત સપ્તાહે દિલ્હી ખાતે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સાથે બેઠક કરાઇ હતી. આજે પણ વધુ એક બેઠક થવા જઈ રહી છે, જેમાં તેમના દ્વારા ૩૦ મિનિટ સુધીના કાર પાર્કિંગનો ચાર્જ રૂ. ૨૦ રાખવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.
આ પ્રસ્તાવ પ્રમાણે ૩૦ મિનિટ સુધી પાર્કિંગ ચાર્જ માટે કારના રૂપિયા ૨૦, ટુવ્હિલરના રૂપિયા ૧૦, બસ-ટ્રકના રૂપિયા ૩૦ ચૂકવવાની ચર્ચા કરાઈ હોવાનું જાણવા મળે છે. ઉપરાંત ૩૦ મિનિટથી ૨ કલાકનો સમય લાગે તો પાર્કિંગ ચાર્જ માટે ટુ વ્હિલરના રૂપિયા ૧૫, કારના રૂપિયા ૫૫, એસયુવી-મિની બસના રૂપિયા ૬૦, બસ-કોચના રૂપિયા ૭૦ ચૂકવવાના થશે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આગામી થોડા સમયમાં તમામ પાસાંને ધ્યાનમાં રાખીને પાર્કિંગ ચાર્જ અંગે પોતાનો નિર્ણય જાહેર કરે તેવી સંભાવના છે, જેનો અમદાવાદ ઓથોરિટી અમલ કરે તેવી શક્યતા છે, પરંતુ તેમાં વધઘટ માટે ઓથોરિટી અન્ય આવકના સ્રોત અને પાસાંઓનો સમાવેશ કરીને ચાિર્જસ જાહેર કરશે.
અમદાવાદ એરપોર્ટ ખાતે હાલના જે પણ કાર પ્રવેશે તેને ૧૦ મિનિટથી વધુ સમય લાગે તો તેને પાર્કિંગ ચાર્જ પેટે ૮૫ રૂપિયા ચૂકવવા પડે છે. આ અંગે અમદાવાદ એરપોર્ટના ડાયરેક્ટર મેજર મનોજ ગંગલે જણાવ્યું હતું કે દેશભરમાં એરપોર્ટ પર પાર્કિંગની નવી પોલિસી અમલી બની રહી છે તે મુજબ અમદાવાદ એરપોર્ટનાં તમામ પાસાંને આવરી લઈને એરપોર્ટના પાર્કિંગના ચાર્જમાં પણ ઘટાડો કરવામાં આવશે. આ માસના અંત સુધીમાં પાર્કિંગ ચાર્જમાં ઘટાડો થશે.