અમદાવાદ: પંચમહાલના ગોધરા તાલુકાના હમીરપુર ગામની સ્કૂલ પાસે કતલ કરવાના ઇરાદે ગોંધી રાખેલ પશુઓને છોડાવવા ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. કેટલાંક અસામાિજક તત્ત્વોએ પોલીસ પર પથ્થરમારો કરતાં પોલીસે ૯ ટિયરગેસના શેલ છોડીને સ્થિતિને કાબૂમાં લીધી હતી.
પોલીસે ગોધરાના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કસાઇઓ અને અસામાિજક તત્ત્વો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ ગોધરાના જૂના જકાતનાકા પાસે આવેલ હમીરપુર ગામની એમઇટી સ્કૂલ પાસે ખુલ્લા ખેતરમાં કતલ કરવાના ઇરાદે મૂંગા પશુઓ રાખેલાં છે તેવી બાતમી પોલીસને મળતાં ડીવાયએસપી આર.આઇ. દેસાઇ, ગોધરા બી ડિવિઝન પોલીસ, એ ડિવિઝન પોલીસ તથા એલસીબી પોલીસ સહિતનો પોલીસ કાફલો હમીરપુર દોડી આવ્યો હતો.પોલીસ ખુલ્લા ખેતરમાં કતલખાને લઇ જવાતાં પશુઓને બચાવવા ગઈ ત્યારે કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો.
પોલીસે ટોળાને કાબૂમાં લેવા ટિયરગેસના શેલ છોડવાની ફરજ પડી હતી. આ ઘટનમાં કોઈને ઇજા થઇ ન હતી. પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.