રાધનપુરમાં શનિવારે સવારે આઠ વાગે ધીમી ધારે વરસાદ શરુ થયા બાદ નવ વાગે વરસાદે રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું,અને સાડા અગિયાર વાગ્યા સુધીમાં સાડા ત્રણ કલાકમાં 165 મી.મી. એટલે કે સાડા છ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો,જેના કારણે શહેરના મુખ્ય માર્ગ ગૌરવપથ ઉપર કે.બી.હાઇસ્કૂલથી હાઇવે ચાર રસ્તા સુધી ઢીચણ સમા પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારી ભારે હાલાકીમાં મુકાયા હતા.દ્વિચક્રી વાહનો અને રીક્ષાઓ પાણીના કારણે બંધ પડી જવા પામ્યા હતા.ગૌરવપથ ઉપર પાણી ભરાવાના કારણે રોડની આજુબાજુમાં આવેલી અનેક દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા, અને વેપારીઓને 2015 ના વરસાદની યાદ આવી ગઈ હતી,જે સમયે દુકાનોમાં પાણી ઘુસી જતા વેપારીઓને કરોડોનું નુકશાન થવા પામ્યું હતું.આ ઉપરાંત શહેરના ગાંધીચોક નજીક આવેલા ભીલવાસમાં,રવિધામમાં અને જીવતખાના ભીલવાસમાં અનેક લોકોના ઘરોમાં પાણી ઘુસી જવા પામ્યા હતા. વિઠ્ઠલનગર વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકો ભયભીત બની ગયા હતા.જો કે ઘરોમાં પાણી ઘુસ્યા ન હોવાથી હાશકારો લીધો હતો.લજપતનગરમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સાડા ત્રણ કલાકમાં સાડા છ ઇંચ વરસાદ પડતા પાલિકાની પોલ ખુલી જવા પામી હતી.દિવ્ય ભાસ્કર દૈનિકે ચોમાસુ શરુ થતા જ લખ્યું હતું કે પાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન પ્લાન હેઠળ શહેરની ગટરો કે નાળા સાફ ના કર્યા હોવાથી વધુ વરસાદ પડતા લોકોને ભારે હાલાકી પડશે,તેમ છતાંય પાલિકા દ્વારા પ્રિ-મોનસુનની કામગીરી કરવામાં આવી નહોતી.શનિવારે સાડા છ ઇંચ વરસાદ પડતાં પાલિકાનાં ચીફ ઓફિસર,સેનેટરી ઇન્સ્પેક્ટર અને પાલિકાના સદસ્યો વરસાદી પાણીના નિકાલ માટે નીકળ્યા હતા,અને મહેનત કરતા નજરે પડ્યા હતા.જો પહેલાથી જ આ કામગીરી કરી હોત તો આ હાલત ના થાત.