રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર શહેરના ગઠામણ દરવાજા વિસ્તારમાં આવેલા પેટ્રોલપંપ પરથી પેટ્રોલ ભરાવતા પેટ્રોલની જગ્યાએ પાણી નીકળ્યું હોવાની રાવ સાથે બાઈક ચાલકે હોબાળો કર્યો હતો. પાલનપુર શહેરના ગઠામણ દરવાજા વિસ્તાર સ્થિત એક પેટ્રોલપંપ પર મહેશભાઈ ડાયાભાઈ મકવાણા નામનો બાઈક ચાલક શુક્રવારે સાંજે બાઇકમાં પેટ્રોલ ભરાવી ગયો હતો. જોકે, બીજા દિવસે બાઈક ચાલુ ન થતાં તેણે બાઈકમાંથી પેટ્રોલ કાઢતા બાઈકમાંથી પેટ્રોલની જગ્યાએ પાણી નીકળ્યું હોવાનો આક્ષેપ કરતા બોટલમા ભરી પેટ્રોલપંપ ઉપર રજૂઆત કરવા માટે દોડી આવ્યો હતો.
દરમિયાન, પેટ્રોલ પંપના સંચાલકે તેની રજુઆત સાંભળવાને બદલે તેને જતા રહેવાનું કહેતા પીડિત બાઈક ચાલકે ત્યાં ઉપસ્થિત લોકો સામે ઉભરો ઠાલવ્યો હતો. જેને પગલે તમાશો જોવા લોકો ટોળે વળ્યાં હતા. જોકે, પેટ્રોલ પંપના સંચાલકે યુવકના આક્ષેપોને ફગાવી દીધા હતા.