વડાપ્રધાન મોદી આજે સવારે ગાંધીનગરથી નીકળીને કેવડિયા ખાતે પહોંચ્યા છે. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાંથી મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા માટે નીકળ્યા હતા. જેમાં મોદીએ ઇકો ટુરીઝમ સાઇટ, રિવર રાફ્ટીંગ, જંગલ સફારી, બટરફ્લાય પાર્ક, એકતા નર્સરી અને વિશ્વવનની સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી. બટર ફ્લાય પાર્કમાં મોદીએ પતંગિયા ઉડાવ્યા હતા. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની સાથે જોડાયા હતા. ત્યારબાદ મોદી કેવડિયા ખાતે 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચેલા નર્મદાના નીરના વધામણા કરીને નર્મદા મૈયાની મહાઆરતી કરશે.
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પ્રથમવાર પૂર્ણ કક્ષાએ 138.68 મીટરની ઐતિહાસિક સપાટી સુધી ભરાયો છે, આજે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના 69માં જન્મદિવસે નર્મદાના નીરના વધામણા કરીને નર્મદા નદીની મહાઆરતી કરશે. નર્મદા ડેમ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે તેમજ જાહેરસભાને પણ સંબોધશે. એક કલાક માટે રાજભવન ખાતે રોકાણ કરશે અને ત્યારબાદ દિલ્હી જવા રવાના થશે.
પીએમ મોદીના કેવડિયામાં આગમનને પગલે એસપીજી અને સ્થાનિક પોલીસ દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને ડોગ સ્કવોર્ડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્રારા રાઉન્ડ ધી કલોક ચેકિંગ હાથ ધરાયુ છે.સિદ્ધ ભાગવત કથાકાર વિરંચીપ્રસાદ શાસ્ત્રીની આગેવાનીમાં નર્મદા કાંઠાના 100 વિદ્વાન ભૂદેવો વેદોક્ત મંત્રોચ્ચાર કરશે અને તે જ વખતે પ્રધાનમંત્રી નર્મદા નીરના વધામણાં કરશે. અને નારિયેળ અને ચૂંદડી નર્મદા નદીમાં અર્પણ કરશે. તે માટે ખાસ પ્લેટફોર્મ પણ હાલ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાનના 70માં જન્મદિવસે તેમના જ પરિશ્રમ અને પુરૂષાર્થી માર્ગદર્શનમાં પૂર્ણ થયેલી નમર્દા યોજનાનો સરદાર સરોવર બંધ તેની પૂર્ણ સપાટીએ ભરાવાના સુભગ સમન્વયે અવસરને ‘નમામિ દેવી નર્મદે મહોત્સવ’ તરીકે ઉજવવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં આયોજન થયું છે. કેવડિયા ખાતે યોજાનાર આ મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહીને નર્મદા નીરના વધામણા કરશે.
નર્મદા ડેમ આજે 138.68 મીટરની પૂર્ણ સપાટીએ છલકાયો છે. ગુજરાતના જનજનમાં મા નર્મદાના જળને નમામિ દેવી નર્મદે મહોત્સવથી વધાવવાનો અનેરો ઉમંગ ઊત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં મંત્રી મંડળના સભ્યો સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં તમામ જિલ્લા મથકોએ મુખ્ય કાર્યક્રમો તથા તાલુકા મથકોએ પણ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. એટલું જ નહિ તમામ જિલ્લા પંચાયત સીટ દીઠ નમામિ દેવી નર્મદે મહોત્સવમાં વિવિધ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.