રાધનપુરમાં સામાન્ય વરસાદમાં જ મોટાભાગના વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય
રાધનપુર
રાધનપુર શહેરમાં બુધવારના રોજ દોઢ ઇંચ જેટલો સામાન્ય વરસાદ પડતા જ નગરપાલિકાની નિષ્ફળતા સામે આવી ગઈ છે.શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય છવાઈ જવા પામ્યું છે,જેમાં કેટલાક વિસ્તારોમાં તો રસ્તાઓ ઉપર કીચડના કારણે લોકોને અને નાના ભુલકાઓને ચાલવું દોહ્યલું થઇ જવા પામ્યું છે.નગરપાલિકા દ્વારા ત્રણ-ત્રણ મહિનાનો પગાર ના ચુકવતા વીસથી વધુ સફાઈ કર્મચારીઓ જાતે જ છુટા થઇ ગયા હોવાથી શહેરમાં ગંદકી છવાઈ જવા પામી હોવાના ભાજપના કોર્પોરેટર અંકુરભાઈ જોશીએ આક્ષેપો કર્યા છે.શહેરમાં સામાન્ય વરસાદ થતા લાલબાગ, ગ્રીનપાર્ક, હરિઓમ સોસાયટી, વલ્લભનગર, મસાલી રોડ, આદર્શ વિદ્યાલય પાસેની સોસાયટીઓ ,લાજપતનગર સહિતના વિસ્તારોમાં કીચડ અને ગંદકીના કારણે લોકોને અનેક હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે.મસાલી રોડ ઉપર બનાવેલી નવીન ગટર સાફ કરવા માટે નગરપાલિકા દવારા ઢાંકણા તો ખોલી નાખવામાં આવ્યા હતા,પરંતુ સફાઈ પણ ના કરી અને ઢાંકણા પણ ખુલ્લા રાખ્યા હોવાથી લોકોને ભારે હાલાકી પડી રહી છે,અને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.પાલિકાના ભાજપના કોર્પોરેટર અંકુરભાઈ જોશીના જણાવ્યા મુજબ પાલિકાના સત્તાધીશો વરસાદી પાણીના નિકાલ બાબતે સાવ નિષ્ફળ રહ્યા છે,જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર ગંદકી જોવા મળી રહી છે.ગ્રીનપાર્ક વિસ્તારમાં આવેલી નાલંદા વિદ્યાલયમાં ત્રણ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે,જેમને ગારામાં થઈને શાળાએ જવું પડે છે.પાલિકાના વીસથી વધુ સફાઈ કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર થયો ના હોવાથી જાતે જ છુટા થઇ ગયા હોવાથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે.