દિપાવલીના તહેવારોમા કાળી ચૌદશનો દિવસ તંત્ર-મંત્ર અને સાધનાના દિવસ તરીકે અનેરું માહાત્મ્ય ધરાવે છે. ત્યારે આજે પાલનપુરના કંથેરીયા હનુમાન મંદિર ખાતે શ્રી હનુમાનદાદાનો હવન યોજવામાં આવ્યો છે. છેલ્લા ૩૫ વર્ષથી કાળી ચૌદશે ૨૪ કલાકનો હવન કરવામાં આવે છે. જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઇ ધન્યતા અનુભવે છે.
કાળી ચૌદશના દિવસે તંત્ર-મંત્ર અને સાધનાના સ્વામી શ્રી હનુમાનજી અને શ્રી મહાકાળી માતાના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. પાલનપુરમાં હનુમાનજીના દરેક મંદિરોએ આજે વિશેષ હવન સહિતની પૂજા-આરાધના કરવામાં આવે છે. જેમાં છેલ્લા ૩૫ વર્ષથી શહેરના કંથેરીયા હનુમાનજીના મંદિરે ૨૪ કલાકનો હવન યોજવામાં આવે છે. કાળી ચૌદશની આખી રાત ચાલતા હવનની દીપાવલીના સવારે આઠ વાગે પુર્ણાહુતી થશે. જોકે, કંથેરીયા હનુમાનના મહંતના જણાવ્યા મુજબ, ભગવાન હનુમાનજી સાત્વિક દેવ છે. હનુમાનજીનો પૂજારી તાંત્રિક હોય કે તે, મેલી વિદ્યા કરતો હોય તો તેની દુર્ગિત થતી હોવાનું કંથેરીયા હનુમાન મંદિરના મહંત ક્ષિપ્રાગીરીજી મહારાજએ જણાવ્યું હતું.
કાળી ચૌદશએ તંત્ર સાધનાનો દિવસ છે. ત્યારે આજે રાત્રે ચંદ્ર દેવની સાક્ષીએ મલિન દેવતાઓને સહારે ભૂવાઓ અને તાંત્રિકો વશીકરણ, મોહન, સંમોહન જેવી તાંત્રિક વિધિઓ કરશે તેવું પાલનપુરના જાણીતા જ્યોતિષાચાર્ય શાસ્ત્રી બાલકૃષ્ણજીએ જણાવ્યું હતું.