૧લી અને ૮ નવેમ્બર રાજયભરમાં વીજ કચેરીમાં સૂત્રોચ્ચારઃ પ્રશ્નો નહિ ઉકેલાય તો ૨૦ નવે.બાદ બેમુદતી હડતાલઃ સાતમા પગાર પંચની અમલવારી-એલાઉન્સ-ખૂટતો સ્ટાફ-મેડીકલ સ્કીમ સહિત અનેક પ્રશ્નો અંગે નિવેડો નહી આવતા નોટીસ પાઠવાઇ
રાજકોટ, તા.૨૨: અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંદ્ય અને જીઇબી એન્જીનીયર એસોસિએશન દ્વારા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ ના મેનેજીંગ ડિરેકટરશ્રી ને નોટિસ આપી આગામી તારીખ ૧.૧૧.૨૦૧૯ થી મેનેજમેન્ટ દવારા સાતમા વેતન પંચ ની અમલવારી પછી મળવાપાત્ર લાભો સહિત ૨ વિવિધ માંગણીઓ જેવી કે એલાઉન્સ એચ આર એ વધી ગયેલ કાર્યબોજનો સામે ડિસ્કોમ કંપનીઓ માં જીએસઓ ૪ મુજબ નો ખૂટતો સ્ટાફ મંજુર કરવા અને જેટકો કંપની ના હાલ ના સ્ટાફ સેટઅપ ને રિવાઈઝ કરી વધારવા તેમજ મેડિકલ સ્કીમ રજા નો પગાર રોકડ માં આપવા સહિત અનેક સામુહિક લાભો ની રજુઆત ૨૦૧૮થી કરવામાં આવેલ છે.
મેનેજમેન્ટ દ્વારા સાચી ન્યાયિક અને કાયદેસરની માંગણીઓ પરત્વે કોઈ ધ્યાન નહીં આપતા તેમજ આ અંગે કોઈ સકારાત્મક કાર્યવાહી કરી મિટિંગ નહીં આપતા ૫૫૦૦૦થી વધુ વીજ કર્મચારીઓ અને ઇજનેરો સામુહિક રીતે લડત આપશે જેમાં ગુજરાતની ચારેય વીજ વિતરણ કંપનીઓ જેટકો અને તમામ પાવર સ્ટેશન ના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાશે તે અંગે આંદોલન ના કાર્યક્રમ ની જાહેરાત કરવામાં આવેલ છે.
વીજ કર્મચારીઓ અનેક મુશ્કેલ અને વિપરીત સંજોગોમાં પોતાની ફરજ બજાવી ગુજરાત ની પ્રજા ની સેવા કરે છે તેમ છતાં તેમની સાચી માંગણીઓ ને ધ્યાને નહીં લેવાતા ઘેરો આક્રોશ વ્યાપેલ હતો અને આખરે મેનેજમેન્ટ સામે લડત કરવાનો નિર્ણય લેવામાં આવેલ જે અંગે આજે નોટિસ અને આંદોલનના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવેલ છે આ અંગે સરકારશ્રી અને તમામ કંપનીઓ ના વડા ને જાણકારી આપવામાં આવેલ છે આ અંગે એજીવીકેએસ અને જીબિયા ના ઉચ્ચ હોદેદારો સર્વશ્રી બળદેવભાઈ પટેલ, બી એમ શાહ, મહેશ દેશાણી, આર બી સાવલિયા એ જણાવેલ છે કે આગામી દીપાવલી ના શુભ તહેવારો ને લક્ષમાં રાખી ગુજરાત ની પ્રજા ને વીજ વિક્ષેપ ના થાય અને તહેવાર નો આનંદ માણી શકે તે માટે આંદોલન ના તમામ કાર્યક્રમ દિવાળી ના તહેવાર પછી રાખવા માં આવેલ છેઙ્ગ જે વીજ કર્મચારીઓ ની ગુજરાત ની પ્રજા માટે નિષ્ઠા દર્શાવે છે આ લડત ને સમગ્ર ગુજરાત ના તમામ વીજ કર્મચારીઓ અને ઇજનેરો સંપૂર્ણ સફળ બનાવવા કામે લાગી ગયા છે.
એક યાદીમાં ઉમેરાયા મુજબ સાતમાં વેતનપંચ અન્વયે મળવાપાત્ર લાભોની અમલવારી કરવા કરારથી થતો હોય જે રાજય સરકારશ્રીથી અલગ અને છઠા વેતનપંચના પૂર્ણ થતાં કરાયેલ કરારની કલમો મુજબ સમયમર્યાદા દસ (૧૦) વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર સરકારશ્રીના કર્મચારીઓને અમલી થતા ઉર્જાખાતાની સાતેય કંપનીઓના કર્મચારીઓ/અધિકારીઓને સંપૂર્ણ વેતનપંચનો અમલ કરવાનો રહેશે. સદર કલમ મુજબ આશરે ચાર વર્ષ પૂર્ણ થવાના આરે હોવાથી કરાર ભંગ કરેલ હોય અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઇબી એન્જીનીયર એશોસિએશન દ્વારા મેનેજમેન્ટ સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ કરવાની ફરજ પડેલ છે. આ આંદોલનમાં ૧લી નવેમ્બરે તમામ ડિવીઝનો-સર્કલો ઉપર સાંજે સૂત્રોચ્ચાર અને ૮મી એ પણ આજ કાર્યક્રમ થશે.
૧૪મીએ ૫૫ હજાર જેટલા કર્મચારીઓ-અધીકારીઓ ૧ દિ'ની હડતાલ કરશે અને જો નિવેડો નહી આવે તો ૨૦ નવેમ્બર પછી ગમે ત્યારે બેમુદતી હડતાલ ઉપર ઉતરી જશે તેમ જાહેરાત કરાઇ છે.