ગુજરાતમાંથી ઉત્તર ભારતીયોના પલાયન પાછળ કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોરનો હાથ છે, તેવા આરોપો લાગતા અલ્પેશ ઠાકોર આજે મીડિયા સામે આવ્યા હતા અને અલ્પેશ કેમેરા સામે જ રડી પડ્યા હતા. તેમણે કહ્યું હતું કે, મારા દીકરાની તબિયત બે-ત્રણ દિવસથી ઠીક નથી અને મારે અહીં આવીને જવાબો આપવા પડે છે. અલ્પેશે કહ્યું હતું કે, મારા પર આરોપ લગાવનારાઓ લાશો પર રાજનીતિ કરે છે. હું ગંદી રાજનીતિ માટે સાર્વજનિક જીવનમાં નથી આવ્યો. જો આવું જ ચાલતું રહ્યું તો હું રાજનીતિ છોડી દઈશ.
અલ્પેશે કહ્યું કે, મારી ગઇકાલે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે ફોન પર વાત થઈ છે અને તેમણે મારા દીકરાની તબિયત વિશે પૂછ્યું હતું. અલ્પેશે કહ્યું હતું કે, ગુજરાત છોડીને લોકો છઠ્ઠ પૂજા માટે જઈ રહ્યા છે. અફવાઓ ફેલાવાને લીધે તે લોકો 15 દિવસ પહેલા જ જઈ રહ્યા છે. હું લોકોને અપીલ કરું છું કે ના જાય. તમે અમારા પોતાના લોકો છો.
જે સુરક્ષા, પ્રેમ, ભાઇચારો તમને અહિંયા મળી રહ્યો છે, તે બીજે ક્યાંય નહીં મળે. જે પણ કંઇ થઈ રહ્યું છે તે દુર્ભાગ્યપૂર્ણ છે અને તે પણ મારા નામે થઈ રહ્યું છે. કોઇને પીટવાની યોજના બનાવવી મારી રાજનીતિ નથી. હું OBC, પછાત વર્ગ, મજૂરો અને ગરીબો માટે રાજનીતિમાં આવ્યો છું.