રાજ્યમાં ઓછા વરસાદના કારણે અછતની પરિસ્થિતી ઉભી થઇ હતી. જેને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે ૯૬ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા હતા. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ સહિતના કેટલાક તાલુકાઓનો સમાવેશ કરાયો હતો. આ અછતગ્રસ્ત જાહેર કરાયેલ વિસ્તારોમાં પશુપાલકો માટે ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. અછતને લઇને સમગ્ર રાજ્યમાં કેટલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેનાર પશુઓને પર ડે ૨૫ રૂપિયા સહાય ચુકવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ૯૬ તાલુકાના ૬૧૮૭ ગામમાં ૧૩ લાખથી વધારે ખેડુતોને પ્રથમ વખત ઇનપુટ સબસિડી એસડીઆરએફનો પણ ફાળો હશે જેમા ૫૧ તાલુકામાં કેન્દ્ર અને ૪૫ તાલુકામાં રાજ્ય સરકાર પોતાના ફાળો આપશે.
મનરેગાની અંદર વર્ષના ૧૦૦ દિવસની જગ્યાએ ૧૫૦ દિવસની રોજગારી આપવામાં આવશે. ઘાસ ઉગાડવા માંગતા ખેડૂતોને વિદ્યુત ક્નેક્શન આપવાની પણ જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. પશુઓ માટે ૭.૫ લાખ ક્વિન્ટલ ઘાસની વ્યવસ્થા કરવામાં આવી છે. પીવાના પાણી માટે પણ પાણી પુરવઠા અને નમર્દા વિભાગ દ્વારા પુરતાં પગલાં અને કામગીરી કરવામાં આવી છે.
રાજ્યના કેબિનેટ પ્રધાન કૌશિક પટેલની અધ્યક્ષતામાં મળેલી અછત સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયા હતા તેમજ અધિકારીઓને યોગ્ય સૂચનો અને કામગીરી અંગે નિર્દેશ કરવામાં આવ્યો હતો.