મહેસાણા-અમદાવાદ હાઈ-વે પર વોટરપાર્ક નજીક એસ.ટી.બસમાં મુસાફરોના સ્વાંગમાં બેઠેલા લુંટારાઓએ બસમાં આંગડીયા કર્મીઓ પાસેથી રૂ.૧૦ લાખની મત્તાની લુંટ કરી ફરાર થઈ ગયા હતા. આ દિલધડક ઘટનાને પાંચ-પાંચ દિવસ થયા હોવા છતાં પોલીસ આરોપીઓને ઝડપી શકી નથી.
પાલનપુર-અમદાવાદ હાઈ-વે રૂટની બસને પાંચ દિવસ પૂર્વે મહેસાણા નજીકના વોટરપાર્ક પાસે પેસેન્જર તરીકે બેઠેલા આઠ જેટલા અજાણ્યા ઈસમોએ પિસ્તોલની અણીએ ડ્રાયવરને ડરાવી બસને હાઈજેક કરી હતી. અને એસ.ટીમાં બેઠેલા અમદાવાદની આંગડીયા પેઢીના કર્મચારીઓ પાસેથી ડાયમંડ અને સોના દાગીનાના પાર્સલ ભરેલા પાંચ થેલાની લૂંટ ચલાવી પાછળ આવતી કારમાં નાસી છૂટ્યાં હતા. બીજા દિવસે વપરાયેલી કાર તેમજ કેટલોક મુદ્દામાલ પોલીસે ખેરાલુ નજીકથી કબજે લીધો હતો.
મહત્વપૂર્ણ કડીઓ મળી હોવા છતાં ઈન્ચાર્જ એસ.પી. મંજીતા વણજારા સહિતના અધિકારીઓ આરોપીઓનું પગેરૂ મેળવી શક્યા નથી અત્યાર સુધી માત્ર શકમંદોની જ પૂછપરછ કરવામાં આવી છે.