દાંતીવાડા પંથકમાં હાઇવે પર ગમખ્વાર અકસ્માતને પગલે ચકચાર મચી ગઇ છે. કુંચાવાડા અને પાંથાવાડા વચ્ચેના માર્ગ પર જીપ સાથે ધડાકાભેર ટ્રેલર અથડાતાં ગંભીર અકસ્માત થયો છે. જેમાં જીપમાં સવાર ત્રણ મુસાફરોના ઘટનાસ્થળે જ્યારે એકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. ઘટનાને પગલે ટ્રેલર ચાલક સામે સ્થાનિકોનો આક્રોશ બન્યો હતો. બનાસકાંઠા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા જીલ્લાના રાજસ્થાન જતાં પાંથાવાડા હાઇવે પર બપોરે અકસ્માત બાદ માતમ છવાઇ ગયો છે. કુંચાવાડાથી મુસાફરો ભરીને જીપ પાંથાવાડા તરફ જઇ રહી હતી. આ દરમ્યાન સામેથી આવતા માલવાહક ટ્રેલરચાલકે ગફલતભરી રીતે હંકારતા કાબુ ગુમાવ્યો હતો. જેથી જીપ સાથે ટ્રેલર અથડાતાં જીપ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં જીપ માર્ગની સાઇડમાં ફંગોળાઇ જતાં મુસાફરોમાં અફરાતફરી બની હતી. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, અકસ્માત એટલો ગંભીર હતો કે, ઘટનાસ્થળે જ જીપમાં સવાર સ્થાનિક મુસાફરો પૈકી ત્રણના કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતાં જીપ ચાલકનું મોત થયુ હતુ. ઘટનાને પગલે ટ્રેલર ચાલક વિરૂધ્ધ વાહનચાલકોમાં ભારે રોષની લાગણી બની હતી. દુર્ઘટનાની જાણ થતાં બનાસકાંઠા પોલીસની ટીમ પહોંચી મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. આ સાથે ડ્રાઇવર ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.