સુઇગામમાં ખેડુતોની સહાયમાં તાલુકા પંચાયત પ્રમુખની નિષ્ફળતા ?
સુઇગામ અને વાવ તાલુકામાં ગત સમયે કમોસમી વરસાદ અને વાવાઝોડાને પગલે ખેડુતોને ભારે નુકશાન આવ્યુ હતુ. જેમાં રાજ્ય સરકારે સહાય જાહેર કરતા સુઇગામ તાલુકાના માત્ર ૮ ગામોને ૬૮૦૦ લેખે સહાય મળી હતી. જ્યારે ૪૩ ગામોના ખેડુતોને માત્ર ૪૦૦૦ની સહાય ચુકવાઇ હતી. જેની સામે ખેડુતોનો પક્ષ લઇ તાલુકા પંચાયત સહિતના ભાજપી આગેવાનો તમામ ગામોને ૬૮૦૦ લેખે સહાય ચુકવવા રજૂઆત કરવા ગયા હતા. જોકે ભારેખમ રજૂઆત છતાં કોઇ પરિણામ મળ્યુ ન હોઇ પ્રમુખ ખેડુતો માટે નિષ્ફળ ગયા હોવાના સવાલો સૌથી મોટા બની ગયા છે.
બનાસકાંઠા જીલ્લાના સુઇગામ તાલુકા પંચાયત પ્રમુખ સહિતના ભાજપી આગેવાનો ખેડુતોની સહાય મુદ્દે આગળ આવ્યા હતા. નડાબેટ, રડોસણ, મેધપુરા, પાડણ, ગોલપ, નેસડા, કોરેટી, જેલાણા સાથે કુલ ૮ ગામોને ૬૮૦૦ લેખે કુલ ૧૩,૬૦૦ની સહાય ચુકવાઇ હતી. હકીકતે કમોસમી વરસાદથી સુઇગામ અને વાવ તાલુકામાં મોટાપાયે કૃષિપાકને નુકશાની હોવાથી તમામ ગામોને આવરી લેવા રજૂઆત થઇ હતી. સુઇગામ તાલુકા પંચાયત પ્રમુખ રમીલાબેન ચૌધરી સહિતના ભાજપી આગેવાનો ગાંધીનગર સુધી દોડી જઇ રજૂઆત કરી હતી. જોકે તેમાં કોઇ સફળતા મળી ન હોવાથી અનેક સવાલો ઉભા થયા છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, ધારદાર અને મક્કમ રજૂઆત કરવા છતાં સુઇગામ તાલુકાના ૩૫ ગામોના ખેડુતો માત્ર ૪,૦૦૦ની સહાય મેળવી શક્યા છે. રજૂઆતને અંતે તાલુકા પંચાયત પ્રમુખ સફળતા મેળવી શક્યા નથી. આવી સ્થિતિ વચ્ચે ખેડુતોમાં ભારે નારાજગી હોવા છતાં પ્રમુખે ગત ૧૯ ડીસેમ્બરના પત્રમાં રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા ૩૫ ગામોની સહાય અધ્ધરતાલ બની છે. આ તમામ ગતિવિધિ વચ્ચે ગત કમોસમી વરસાદથી થયેલ નુકશાનીમાં આશા રાખી બેઠા ખેડુતો પ્રમુખની રજૂઆત બાદ સતત ગેરમાર્ગે દોરાયેલા રહ્યાનો સવાલ પણ ઉભો થયો છે.