થરાદ : થરાદમાં દિવાળીના તહેવારમાં દારૂખાનું વેચવા માટે નગરના આઠ વેપારીઓએ લાયસન્સ (પરવાના)ની માંગણી કરી હતી. આથી પ્રાંત અધિકારી તેમજ મામલતદાર એન.કે.ભગોરાના આદેશથી સર્કલ ઓફિસર સુરેન્દ્રસિંહ રાજપુત અને તેમની ટીમ દ્વારા શહેરમાં મોટા પ્રમાણમાં ચાલતી દારૂખાનાની દુકાનો પર સલામતી અને વ્યવસ્થાની કેવી સગવડો છે તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી. જે પૈકીની કેટલીક દુકાનોમાં ફાયર સેફ્ટીની સુવિધા જોવા મળી હતી. અને કેટલીકમાં પુરતો અભાવ પણ હોઇ તેમને તાકીદે વ્યવસ્થા કરી લેવાની સુચના પણ અપાઇ હતી. જો કે નગરમાં બીજા અનેક વેપારીઓ વગર પરવાનગીએ બિનઅધિકૃત રીતે ફટાકડાનો વેપાર પણ કરતા હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું. તંત્રએ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળતાં આવા વેપારીઓ પોતાની હાટડીઓ સંકેલીને ગાયબ થઇ ગયા હોવાનું પણ જાણવા મળ્યું હતું. આથી તાજેતરમાં ડીસામાં બની હતી તેમ ગમે ત્યારે મોટી દુર્ઘટના બને તે પુર્વે તંત્ર દ્વારા ઓચિંતી રેડ કરીને આવું દારૂખાનું વેચવાનું લાઇસન્સ ન ધરાવતા દુકાનદારો સામે કાર્યવાહી કરે તેવી લોકોની માંગ ઉઠવા પામી હતી.