રાજકોટ : એકતરફ ઓછા વરસાદને લઈ ખેડૂતોની મુશ્કેલી વધી છે. બીજીતરફ કેટલાક સ્થળો પર સરકાર દ્વારા પણ પાકવીમો ચૂકવાયો નથી. જેને લઈને ઠેર-ઠેર ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જેતપુર SBI ખાતે કેબીનેટમંત્રી જયેશ રાદડિયાએ પણ આ મામલે હોબાળો કર્યો હતો. જો કે ખુદ કેબીનેટમંત્રીની દરમિયાનગીરી છતાં પાકવીમો ન મળતા જેતપુર તાલુકાના 6 ગામોના 56 જેટલા ખેડૂતો તાલુકા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. અને સામુહિક આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ખેડૂતોના જણાવ્યા મુજબ જેતપુર સ્ટેટ બેંક દ્વારા 123 જેટલા ખેડૂતોને તેના રૂપિયા 1.5 કરોડ જેટલી મગફળીના પાકવીમાની રકમ ચૂકવવામાં આવી નથી. વર્ષ 2016-17માં મંજૂર થયેલ પાકવીમાની રકમ પણ આજદિન સુધી બેંક દ્વારા ન ચૂકવાતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ અંગે અગાઉ પણ કેબીનેટમંત્રી જયેશ રાદડીયાની આગેવાનીમાં બેંકને તાળાબંધી કરવમાં આવી હતી.
એટલું જ નહીં ગઈકાલે આ મામલે આત્મવિલોપનની ચીમકી આપનાર એક ખેડૂતની પણ પોલીસે અટકાયત કરી લીધી હતી. જેને પગલે મોટી સંખ્યામાં રોષે ભરાયેલા ખેડૂતો તાલુકા પોલીસ મથકે આવી પહોંચ્યા હતા. અને સામુહિક આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉપરાંત ઉચ્ચ અધિકારીઓએ તરત જ ઘટનાસ્થળે દોડી જઈને મામલો થાળે પાડવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.