બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતભરમાં ધોધમાર પડી રહેલા વરસાદે તંત્રની પોલ ખોલી નાંખી છે. શુક્રવારે મોડી સાંજે પડેલા ભારે વરસાદને બાદ શહેરમાં અનેક જગ્યાએ ભુવા પડવાના બનાવો સામે આવ્યા છે. હાલ મળી રહેલા અહેવાલ અનુસાર, શુક્રવારે મોડી સાંજે શહેરના ગોમતીપુર વિસ્તારમાં મેટ્રો ટ્રેન જ્યાંથી પસાર થવાની છે તે જગ્યાએ જમીન બેસી જતા આસપાસના 20 મકાનો ખાલી કરાવવા પડ્યા છે. આ ઘટનાની જાણ થતા મેટ્રોના અધિકારીઓ દોડી ગયા છે
આ અંગે મળતી માહિતી અનુસાર, શહેરના ગોમતીપુર વિસ્તારમાં મેટ્રો ટ્રેન જ્યાંથી પસાર થવાની છે તે સિલ્વર ફ્લેટ નજીક જમીન બેસી જવાના કારણે મેટ્રોના અધિકારીઓ દોડી ગયા છે. તંત્રએ કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે અગમચેતીના ભાગરૂપે આસપાસના 20 જેટલા મકાનો ખાલી કરાવી દીધા છે. સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ મેટ્રોના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે.
આ ઘટના વિશે જ્યારે સ્થાનિક લોકોને પૂછવામાં આવ્યું ત્યારે તેમને કહ્યું કે, વરસાદના કારણે જમીન બેસી જવાના કારણે મેટ્રોના અધિકારીઓ દોડી આવ્યા પરંતુ અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ હજી સુધી દેખાયા નથી. મેટ્રોવાળાએ અમારી સાથે વાત કરતા કહ્યું કે, 10 દિવસ ક્યાંક બહાર ચાલ્યા જાવ. તમને જણાવી દઈએ કે, શુક્રવારના રાતથી 20 ઘરના પરિવારો બેઘર બન્યા છે. તેમને 10.30 વાગ્યા પછી ઘરની બહાર કાઢવામાં આવ્યા હતા.
શહેરમાં વરસાદ બાદ અનેક જગ્યાએ ભુવા પડી રહ્યા છે. ત્યારે તંત્રની પ્રિ-મોનસૂન પ્લાનની એક પછી એક જગ્યાએ પોલ ખૂલી રહી છે.