વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં સ્ટુડન્ટ્સને લઇને જતી સ્કૂલ રિક્ષાને કારચાલકે ટક્કર મારી હતી. જેમાં રિક્ષામાં સવાર ઇલોરાપાર્ક ખાતે આવેલી આનંદ વિદ્યાવિહાર સ્કૂલના આઠ સ્ટુડન્ટ અને રિક્ષા ચાલકને ઇજા પહોંચી હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્ટુડન્ટ્સના વાલીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના ઇલોરાપાર્ક વિસ્તારમાં આવેલી આનંદ વિદ્યાવિહાર સ્કૂલના આઠ સ્ટુડન્ટને લઇને સ્કૂલ રિક્ષા ઇસ્કોન હાઇટ્સ પાસે રોડ ક્રોસ કરી રહી હતી. આ સ્મયે ઇસ્કોન હાઇટ્સ તરફથી પૂરપાટ આવી રહેલી કારના ચાલકે રિક્ષાને અડફેટે લીધી હતી. જેથી રિક્ષામાં સવાર સ્કૂલના આઠ સ્ટુડન્ટ અને રિક્ષાચાલકને ઇજાઓ પહોંચી હતી.
કાર અને સ્કૂલ રિક્ષા વચ્ચે ધડાકાભેર અકસ્માત થતાં જ રિક્ષામાં સવાર વિદ્યાર્થીઓએ રડવાનું શરૂ કરી દીધુ હતુ. બીજી બાજુ આ બનાવ બનતાની સાથે જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને રિક્ષામાં ફસાયેલા સ્ટુડન્ટ્સ અને રિક્ષાચાલકને બહાર કાઢી હોસ્પિટલ રવાના કર્યા હતા. રિક્ષાચાલક પઠાણભાઇને ગોત્રી સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યારે સ્ટુડન્ટ્સને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.ઇજાગ્રસ્ત સ્ટુડન્ટ્સના વાલીઓને જાણ થતાં તુરંત જ હાંફળા-ફાંફળા સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યાં તમામ સ્ટુડન્ટ્સને હોસ્પિટલમાં લઇ જવાયા હોવાની જાણ થતાં તુરંત જ વાલીઓ પોતાના બાળકોને જોવા માટે હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. જ્યાં પોતાના સંતાનને હેમખેમ જોતા હાશકારો અનુભવ્યો હતો. પરંતુ, રિક્ષા સાથે અકસ્માત સર્જનાર કારચાલક સામે રોષ ઠાલવ્યો હતો.
એક ઇજાગ્રસ્ત સ્ટુડન્ટના વાલી અંકિતભાઇ રાણાએ જણાવ્યું હતું કે, મારો પુત્ર પણ રિક્ષામાં હતો. ઘટના સ્થળે જોતા અને સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે રિક્ષા ધીમી ગતિએ રોડ ક્રોસ કરી રહી હતી. જ્યારે કાર પુરપાટ પસાર થઇ રહી હતી. કાર ચાલક સ્પિડ કાબુમાં કરી ન શકતા અકસ્માત સર્જાયો હતો. અમારી માંગ છે કે, કારચાલક સામે નિષ્પક્ષ કડક કાર્યવાહી થવી જોઇએ.