પાલનપુર કિર્તિસ્તંભ વિસ્તારમાં તાલુકા પંચાયત સામે આવેલા એક ગેસ્ટ હાઉસમાંથી કાણોદરના હોટલના માલિકનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે અકસ્માતે મોતનો ગૂનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુર તાલુકાના કાણોદરના ૪૯ વર્ષીય હોટલ માલિક મિનહાજઅલી મહંમદઅલી પોલરા ગત તારીખ ૨૬ ઓગષ્ટના રોજ પાલનપુર કિર્તિસ્તંભ તાલુકા પંચાયત સામે આવેલા ગેસ્ટ હાઉસમાં ત્રણ દિવસ રૂમ રાખીને રોકાયા હતા. અને ૨૯ તારીખે રૂમ બંધ કરીને અંદર સૂઇ ગયા હતા. દરમિયાન હોટલના સ્ટાફે શુક્રવારે સાંજે સફાઇ માટે દરવાજો ખખડાવતાં અંદરથી કોઇ જવાબ મળ્યો ન હતો. આથી કંઇક અજુગતું થયું હોવાનું માની હોટલના મેનેજર ચિરાગભાઇ ગોવિંદભાઇ ઠાકોરે દરવાજો તોડી અંદર જોતા મિનહાજઅલીનો મૃતદેહ મોઢામાંથી લોહી તેમજ ફીણ નીકળેલી હાલતમાં મળી આવ્યો હતો.
આ અંગેની જાણ કરવામાં આવતાં પૂર્વ પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મિનહાજઅલીએ ઝેરી પ્રવાહી ગટવટાવી આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે. આ અંગે ગેસ્ટ હાઉસના મેનેજર ચિરાગભાઇ ઠાકોરે જણાવ્યું હતુ કે, મિનહાજઅલીએ પોતે હોટલના માલિક હોવાની ઓળખાણ આપી રૂમ બુક કરાવ્યો હતો. પોલીસે હોટલ મેનેજરની ફરિયાદના આધારે અકસ્માતે મોતનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.