પાલનપુર : રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગના નેજા હેઠળ ચાલતી સરકારી આઈ.ટી આઈ.માં ફરજ બજાવતા વર્ગ -૩નાં ટેક્નિકલ કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે અનેક વખત કરાયેલ રજૂઆતો બાદ પણ તેનું નિરાકરણ ન આવતા આ કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. ત્યારે પાલનપુર આઈ.ટી.આઈ.ના કર્મીઓએ ફરજ દરમ્યાન કાળીપટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવ્યો હતો.
આઈ.ટી આઈ કર્મચારી મંડળ વતી દિવ્યેશ પંચાલના જણાવ્યા મુજબ, રાજ્યમાં અત્યારે ૨૮૭ સરકારી આઇટીઆઈ છે. જેમાં ૬૦૦૦ થી વધુ ટેકલીનલ કર્મચારીઓ ફરજ બજાવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી મંડળ દ્વારા આ કર્મચારીઓની પડતર માંગણીઓ અંગે તંત્રને રજુઆત કરવામાં આવી હોવા છતાં સરકાર તરફથી કોઈ હકારાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી રાજ્ય ટેક્નિકલ કર્મચારી વર્ગ-૩ મંડળનાં આદેશ મુજબ આંદોલન શરૂ
કરવામાં આવ્યું છે. જે મુજબ તા.૦૧/૧૧/૨૦૧૯ થી ૧૧/૧૧/૨૦૧૯ સુધી આ કર્મચારીઓ કાળીપટ્ટી ધારણ કરીને ફરજ બજાવશે. અને જો તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો તા.૧૩/૧૧/૧૯થી તા.૩૦/૧૧/૨૦૧૯ થી તમામ કર્મચારી વર્ક ટુ ટૂલ્સ મુજબ જ કામગીરી કરીને આંદોલન કરશે. અને તેમ છતાં ઉકેલ ન આવે તો તાઃ૦૩/૧૨/૨૦૧૯ ના રોજ તમામ કર્મચારી માસ.સીએલ રજા પર ઉતરશે. પાલનપુર આઈ.ટી આઈ ખાતે યોજાયેલ કાર્યક્રમ દરમ્યાન કર્મચારીઓ એ સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો હતો.