ભારતના વર્તમાન સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર ૨૦૧૬માં ડીસાના મહેમાન બની બનાસ ડેરી અને ખાદી ગ્રામોધોગ બોર્ડના સંયુકત ઉપક્રમે મધમાખી ઉછેર પ્રોજેકટનો શુભારંભ કરાવ્યા બાદ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પણ મધમાખીના ઉછેરમાં ઝંપલાવી વર્ષે – દહાડે સારૂ એવું આર્થિક ઉપાર્જન કરવા સાથે બનાસડેરીના શ્વેત ક્રાંતિ બાદ સ્વિટ ક્રાંતિના સ્વપ્નને પણ સાકાર કરી રહ્યા છે. ગત વર્ષ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી ૧૨.૫૦ ટન મધ એકત્ર કરવામાં આવ્યું હતુ.જ્યારે આ વર્ષે ૧૯ ટન મધ એકત્ર કરવાનો ટાર્ગેટ પણ પૂર્ણ થવાના આરે છે.બનાસડેરી દ્વારા જિલ્લામાં શ્વેતક્રાંતિ બાદ સ્વિટક્રાંતિ માટે બે વર્ષ પૂર્વે હની પ્રોજેકટની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ડીસા ખાતેથી કરાઈ હતી.બનાસડેરી અને ખાદી ગ્રામોધોગ બોર્ડના સંયુકત ઉપક્રમે શરૂ કરાયેલા મધમાખી ઉછેર પ્રોજેકટની સફળતા પર પ્રકાશ પાડતા પ્રોજેકટ ઇન્ચાર્જ નરસિંહભાઇ ગુર્જરે જણાવ્યું હતુ કે, ખાદી ગ્રામ ઉધોગ આયોગના સ્ટેટ ડાયરેકટર હેડુવ, જગદીશસિંહ અને શ્રવણજી તરારના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં ૩૨૦ ખેડૂતો દ્વારા ૧૧૦૦ જેટલા બી- બોક્ષ થકી આ ઉધોગને વિકસાવવામાં આવી રહ્યો છે.