શુક્રવારની રાત્રે તસ્કરોએ ચાર સિદ્ધપુર હાઇવે પરની સુકન રેસીડેન્સીના એક બંધ મકાનમાં તેમજ રુદ્રાક્ષ સોસાયટીમાં ત્રણ બંધ મકાનોના દરવાજાના નકુચા તોડી બે મકાનમાંથી અંદાજિત રૂ. ૫૦ હજારના મુદ્દામાલની ચોરી થવા પામી હતી. અન્ય બે મકાનોમાં તસ્કરોને કંઈ હાથ લાગ્યું નહોતું. આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તસ્કરોનું પગેરૂ શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. સિદ્ધપુર હાઇવે પર શુક્રવારે રાત્રે સુકન રેસિડેન્સીમાં ઘર નંબર ૫૧માં રહેતા પટેલ પ્રકાશભાઈ સોમાભાઈના ઘરે બે મહિલાઓ એકલી હોવાથી તેઓ બાજુના મકાનમાં સુવા માટે ગયા હતા ત્યારે તેમના બંધ ઘરમાં અંદર પ્રવેશ કરી રોકડ રૂ. ૧૫૦૦૦ તેમજ સોના ચાંદીના દાગીના સહિત રૂ. ૩૫,૦૦૦ હજારના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. જ્યારે રુદ્રાક્ષ સોસાયટીમાં ઘર નંબર ૮માં રહેતા ભદ્રેશકુમાર કાંતિલાલ પ્રજાપતિ, ઘર નંબર ૩૧માં રહેતા કિરીટભાઈ મોદી અને ઘર નંબર ૫૬માં રહેતા નિરંજનભાઈ રામરાજ રોયના બંધ મકાનમાં તાળાં તોડ્યા હતા.નિરંજનભાઈ રોયના ઘરમાંથી રૂ. ૫ હજારની રોકડ રકમની ચોરી થઈ હતી. અન્ય બે મકાનોમાં તસ્કરોને કંઈ હાથ લાગ્યું નહોતું. આ અંગે પટેલ પ્રકાશભાઈ સોમાભાઈએ નોંધાયેલી ફરિયાદના આધારે સિદ્ધપુર પોલીસે તસ્કરોનું પગેરૂ શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.