પાલનપુર : પાલનપુર માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવે શરૂ કરવામાં આવેલી રાયડાની ખરીદી ગુરૂવારના રોજ અચાનક બંધ કરી દેવાતા પાલનપુર સહિત બનાસકાંઠામાં વિરોધનો સૂર ઉઠયો હતો. જેને પગલે ખેડૂતોનો લડાયક મિજાજ જોતા તંત્ર દ્વારા રાયડાની ટેકાના ભાવે પુનઃ ખરીદી શરૂ કરવાની ફરજ પડી હતી.
પાલનપુર માર્કેટયાર્ડ ખાતે રાયડાની ટેકાના ભાવે ખરીદી અચાનક બંધ કરાતા ખેડૂતો સમસમી ઉઠ્યા હતા. જેમાં રાયડાની ખરીદી ની મુદતમાં વધારો નહીં કરાય તો પાલનપુર કલેકટર કચેરી ખાતે દેખાવો કરવાની ભારતીય કિસાન સંઘ દ્વારા ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. જોકે સરકાર દ્રારા શરૂ કરવા માં આવેલી રાયડાની ખરીદી માં રાયડા ની વહેંચણી થી અનેક ખેડૂતો વંચિત રહી ગયા હતા. જે ત્યારે ખેડૂતો ની માંગણી ને અનુસરી ને સરકાર દ્રારા શુક્રવાર થી પુનઃ રાયડા ની ખરીદી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી.
ગુજરાતના ખેડૂતોને રાયડાના પાકમાં પોષણક્ષમ ભાવ મળી શકે તે માટે નાફેડ દ્વારા દરેક તાલુકા મથક ઉપર રાયડાની ઓનલાઇન ખરીદી શરૂ કરવામાં આવી હતી જેમાં પાલનપુર ખાતે પુરવઠા તંત્રની લાપરવાહીના કારણે ખેડૂતોને રાયડો વેચવામાં પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી હતી સાથે અધિકારીઓ દ્વારા તેમના મળતિયાઓ અને વેપારીઓના રાયડાની ખરીદી કરીને કૌભાંડ આચર્યુ હોવાના આક્ષેપ પણ ઉઠ્યા હતા. જોકે પાલનપુરમાં રાયડાની ઓનલાઈન ખરીદી શરૂથી જ વિવાદોમાં રહી હતી જે ગુરૂવારના રોજ રાયડાની ખરીદી એકાએક બંધ કરી દેવાતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને ખેડૂતો એ રાયડાની ખરીદી મામલે આંદોલનનો મૂડ બનાવ્યો હતો અને બનાસકાંઠા માં રાયડાની ખરીદી બંધ થતાં જ ઠેર ઠેર વિરોધ થતાં ખેડૂતોના રોષને ઠારવા માટે સરકાર દ્વારા શુક્રવાર થી પુનઃ રાયડાની ખરીદી શરૂ કરવામાં આવી છે જેને લઇ ખેડૂતો પોતાના રાયડો વેચવા માટે પાલનપુર માર્કેટયાર્ડમાં ઉમટી પડ્યા હતા.