રાધનપુરમાં કોંગ્રેસ દ્વારા શહેરની મધ્યમાં આવેલી સરકારી રેફરલ હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ડોક્ટરો અને સ્ટાફ મુકવાની માંગ સાથે રેફરલ બચાવો અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો,નગરપાલિકા વિસ્તારના પ્રભારી લાલેશ ઠક્કરના સીધા માર્ગદર્શન હેઠળ રેફરલ હોસ્પિટલની બહાર ડેરા તાણીને ગામેગામથી આવતા લોકોને જાગૃત કરીને સહીઓ લેવામાં આવશે અને લોકોને પૂરતા સ્ટાફ સાથે સારી સગવડ મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવશે. પાલિકાના કારોબારી ચેરમેન કાનજીભાઈ પરમાર,સેનીટેશન ચેરમેન હરદાસભાઇ આહીર,ડો. વિષ્ણુ ઝૂલા સહીત પાલિકાના સદસ્યો અને કોંગ્રેસના કાર્યકરોની ઉપસ્થિતિમાં લાલેશ ઠક્કરે રેફરલ હોસ્પિટલની જાત માહિતી મેળવ્યા બાદ સહી અભિયાન ચાલુ કર્યું હતું. લાલેશ ઠક્કરના જણાવ્યા મુજબ રેફરલ હોસ્પિટલમાં જે સ્ટાફ અને ડોક્ટરો હોવા જોઈએ તે નથી,જેના કારણે ખુબ મોટી સંખ્યામાં દર્દીઓ અહીં આવીને પાછા જાય છે. કોઈપણ સરકાર હોય આરોગ્ય અને શિક્ષણ આપવા માટે તે બંધાયેલ છે.જો કોઈ સરકાર આરોગ્યલક્ષી સેવાઓ પુરી ના પાડે તે બંધારણનું ઉલ્લંઘન કરે છે,
અને ગુનાહિત કૃત્ય કરે છે. ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ગુનાહિત કૃત્ય થઇ રહ્યું છે.
રેફરલ હોસ્પિટલમાં જ્યાં સુધી પૂરતો સ્ટાફ અને ડોક્ટરો નહિ ભરાય ત્યાં સુધી અમે કાર્યક્રમ આપવાના છીએ.આ હોસ્પિટલમાં મહેકમ પ્રમાણે જે સ્ટાફ હોવો જોઈએ તે પ્રમાણે એંસી ટકા સ્ટાફ અને ડોક્ટરોની ઘટ વર્તાઈ રહી છે.