રખેવાળ ન્યુઝ થરાદ : થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત અને પ્રાંતઅધિકારીના શિરસ્તેદાર રમેશભાઇ ગોહીલને આવેદનપત્ર આપતાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની શાળાઓમાં વર્ષ ૨૦૦૫થી વ્યાયામ, ચિત્ર તથા સંગીતના શિક્ષકોની ભરતી કરવામાં આવેલ નથી. આ અંગે ગુજરાત વ્યાયામ હિતરક્ષક સમિતિ હેઠળ સમગ્ર રાજ્યમાં ધારણાં અને વિરોધ પ્રદર્શનો કર્યા બાદ ગુજરાત રાજ્યની ચુંટણી પહેલાં ઉપમુખ્ય મંત્રી નિતિનભાઈ પટેલે આચારસંહિતા પહેલાં પ્રેસ કોન્ફરન્સમાં ૧૭૩૯ વ્યાયામ અને એટલા જ ચિત્રના મળીને કુલ ૩૪૭૭ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. અને કેંદ્રમાંથી નિયમ મુજબ દરેક રાજ્યોએ ભરતી કરવી તેવી જોગવાઇ છે.અને દરેક રાજ્યને ભરતી અંગે ગ્રાંટ પણ ફાળવવામાં આવેલી છે. તેમ છતાં સરકાર તરફથી ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં પ્રવાસી શિક્ષ્કો તરીકે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. એક તરફ નામદાર હાઈકોર્ટ દ્વારા પ્રવાસી તરીકે ભરતી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે અંગે ખુદ પ્રાથમિક નિયામક દ્વારા ભરતી ન કરવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે હાલ તેમની ભરતીને પ્રવાસી તરીકે આદેશ જાહેર કરવામાં આવ્યો છે.જે ભારત સરકારના નિયમ મુજબ અયોગ્ય છે. બાળકોના સર્વાંગી વિકાસ તેમજ શિસ્ત માનસિક અને શારીરિક તંદુરસ્તી માટે રાજ્યની દરેક શાળામાં ચિત્ર સંગીત અને વ્યાયામ શિક્ષક હોવા જરૂરી છે. આથી ગુજરાત રાજ્ય વ્યાયામ અને કલા હિતરક્ષક સમિતિ થરાદ દ્વારા અન્ય રાજ્યોમાં આવા વિદ્યાર્થીઓની ભરતી કરવામાં આવે છે ગુજરાતમાં કેમ નહીં ? તેમ જણાવી આ અંગેના યોગ્ય જવાબની અપેક્ષા સાથે તેમની માંગ પુરી નહીં થાય તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી મીડિયા સમક્ષ આપવામાં આવી હતી. ગુલાબસિંહ રાજપુતે શિક્ષણમંત્રીને પણ લેખિતમાં અને રૂબરૂમાં રજુઆત કરી વિધાનસભામાં પણ તેમના હિતનો પ્રશ્ન ઉઠાઠવવાની ખાત્રી આપી હતી.