બનાસકાંઠાઃ અમદાવાદની બસને ડમ્પરે ટક્કર મારતાં ૧નું મોત, ડ્રાઈવરને ૩ કલાક બાદ જીવિત બહાર કઢાયો
બનાસકાંઠાના ધાનેરાના સામરવાડામાં ડમ્પરચાલકે લક્ઝરી બસને ટક્કર મારતાં ૧ મુસાફરનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય ૧૦ મુસાફરોને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ કરવા છતાં ૨ કલાક બાદ પોલીસ આવતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.
અમદાવાદથી બાડમેર જઈ રહેલી બસને બનાસકાંઠાના ધાનેરાના સામરવાડામાં પૂરપાટ ઝડપે આવતાં ડમ્પરે ધડાકાભેર ટક્કર મારી હતી. અકસ્માત બાદ બસ રોડ પરથી ઉતરીને ઝાડીઓમાં અથડાઈ હતી. આ બસમાં ૬૦ જેટલા મુસાફરો સવાર હતાં. તેમાંથી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે ૧૦ ઇજાગ્રસ્ત લોકોને ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.