દીઓદર : રાજ્યમાં શિક્ષણમાં બાળકોને શિક્ષણ સાથે આધુનિક સવલતો મળી રહે તેવા સારા આશય સાથે સર્વશિક્ષા અભિયાન અંતર્ગત શાળાઓનો વિકાસ કરી ભૌતિક સુવિદ્યાઓ સાથે ઉત્તમ શાળા બનાવવા માટે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવતી હોય છે. જાકે અધિકારીઓ સરકાર દ્વારા શિક્ષણના વિકાસ માટે ફાળવાતા કરોડો રૂપિયા જાણે કે તેમના અને કોન્ટ્રાક્ટરોના કલ્યાણ માટે ફાળવવામાં આવતા હોવાનું બનાસકાંઠા જીલ્લામાં ખુલ્લેઆમ ચાલી રહ્યું છે.
જિલ્લાભરમાં સને ર૦૧૭-૧૮ દરમ્યાન આવેલ પૂર અંતર્ગત જેજે શાળાઓ પૂરના કારણે અસર પામી હોય અને નુકશાનગ્રસ્ત થયેલ હોય તેવી શાળાઓની મરામત માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવવામાં આવેલ. કરોડો રૂપિયાની ગ્રાન્ટ સર્વશિક્ષા અભિયાન અંતર્ગત ફાળવાયા બાદ તાલુકા અધિકારીઓએ કોનું સેટીંગ કેટલું થાય તેની જાણે કે હોડ લગાવી હોય તેમ.. સર્વશિક્ષા અભિયાન અંતર્ગત જિલ્લામાં શાળા રીપેરીંગના ના નામે ભારે ધુપ્પલબાજી આચરાઈ હોવાનું બહાર આવેલ છે. દીઓદર તાલુકામાં શાળા રીપેરીંગ દરમ્યાન જે જે પતરાં બદલવામાં આવ્યાં છે. તેમાં ભારે ગેરરિતી આચરાઈ છે. તો આઈએસઆઈ માર્કાના ગેલ્વેનાઈઝ પતરાં વાપરવાના એસ્ટીમેન્ટ ઘોળી ને પી જવામાં કોન્ટ્રાક્ટર અને સુપરવાઈઝર એ ભારે કમાલ કરી હોવાનું ચર્ચાસ્પદ બનાવા પામેલ છે. શાળા રીપેરીંગમાં દીઓદર તાલુકામાં સર્વે કરી ફાળવાયેલ રકમ પૂર્ણ કરવા કેટલીય શાળાઓના એસ્ટીમેન્ટમાં ભારે ગેરરિતી આચરાઈ છે. કેટલીય શાળાઓમાં રીપેરીંગ માટે કરાયેલ સર્વેમાં રૂ.પ લાખના એસ્ટીમેન્ટમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ સેટીંગ કરી રૂ.દશ લાખ જેટલી રકમ ખર્ચી નાખી છે. “દલાતરવાડી” જેવો વહીવટ સર્વશિક્ષા અભિયાન અંતર્ગત જાણે કે ચાલી રહ્યો છે. જ્યારે કેટલીય શાળાઓમાં ૮ લાખ જેટલી રકમ સર્વે કરી ફાળવાયેલ હોય ત્યાં કહેવાય છે કે સેટીંગ ન બેસતાં બનાસકાંઠા જીલ્લામાં રાજ્યકક્ષાના એન્જીનીયરો દ્વારા સર્વે કરી કરાયેલા એસ્ટીમેન્ટને અધિકારીઓએ મનમાની કરી ભારે ગેરરિતી આચરી મનસુફી મુજબ કોના આશીર્વાદથી કર્યું હશે ? તે ભારે ચર્ચાસ્પદ બનવા પામેલ છે.