સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાંથી નેતાઓ, વેપારીઓ અને મોટા ઓફિસરો પરના આરોપો ભલે ફગાવી દેવામાં આવ્યા હોય પરંતુ તપાસ સાથે જોડાયેલા અધિકારીઓ હજુ પણ પોતાની તપાસના તથ્યો પર કાયમ છે અને અદાલતમાં કાયદેસર પોતાના નિવેદનો નોંધાવી રહ્યા છે. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, આઈપીએસ ઓફિસર દિનેશ એમ.એન., રાજકુમાર પાંડીયન અને ડી.જી. વણઝારા કથીત રીતે ૨૦૦૬માં ગુજરાતમાં થયેલા તુલસીરામ પ્રજાપતિના નકલી એન્કાઉન્ટરના મુખ્ય ષડયંત્રકારો હતા. ગુજરાતમાં થયેલા આ એન્કાઉન્ટરની તપાસ કરી રહેલા મુખ્ય તપાસ અધિકારીએ ગઈકાલે સ્પેશ્યલ કોર્ટમાં આ દાવો કર્યો હતો. એપ્રિલ ૨૦૧૨થી આ કેસની તપાસ કરી રહેલા સંદીપ તામગડેએ કોર્ટને એમ પણ જણાવ્યુ હતુ કે, આ રાજનેતાઓ અને અપરાધીઓની સાંઠગાંઠનું પરિણામ હતુ. જેમાં અમિત શાહ અને રાજસ્થાનના ગૃહમંત્રી ગુલાબચંદ કટારીયા કથીત રીતે એ રાજનેતા હતા જેમણે ૨૦૦૪માં જાણીતા બિલ્ડરોની ઓફિસોમાં આગ લગાડવા માટે સોહરાબુદ્દીન શેખ, તુલસીરામ અને આઝમખાન જેવા અપરાધીઓનો ઉપયોગ કર્યો હતો. અમિત શાહ, કટારીયા, દિનેશ એમ.એન., રાજકુમાર પાંડીયન એવા લોકો છે જેમને આ મામલામાં આરોપી બનાવવામાં આવ્યા હતા. જો કે ટ્રાયલ કોર્ટે ૨૦૧૪થી ૨૦૧૭ દરમિયાન આ મામલામાં તેઓને ડીસ્ચાર્જ એટલે કે છોડી મુકયા હતા. ગઈકાલે સવારે ૧૧ થી સાંજે ૭.૩૦ સુધી ચાલેલી સુનાવણીમાં તપાસ અધિકારીએ એવુ પણ કહ્યુ હતુ કે, અમિત શાહ, વણઝારા, પાંડીયન, દિનેશ સમગ્ર હત્યાકાંડના મુખ્ય ષડયંત્રકાર હતા અને તપાસમાં મળેલા પુરાવાઓના આધાર પર જ આ બધા પર આરોપપત્ર દાખલ કરવામાં આવ્યુ હતું. મુખ્ય તપાસ અધિકારી સંદીપ તામગડેએ એવો દાવો પણ કર્યો છે કે આરોપીઓના કોલ ડેટા રેકોર્ડસથી સાબિત થાય છે કે આ લોકોએ જ ગુન્હાના ષડયંત્ર રચ્યુ હતું. તામગડેને જ્યારે પૂછવામાં આવ્યુ કે, શું કોઈ કોલ ડેટા રેકોર્ડસની તપાસ દરમિયાન ષડયંત્રની જાણ થઈ હતી કે કેમ ? તો તેમણે સકારાત્મક જવાબ આપતા કહ્યુ હતુ કે, ક્રોસ એકઝામીનેશન દરમિયાન અધિકારીએ બાબત માટે સહમત થયા કે કોલ ડેટા રેકોર્ડસ કોઈ ખાસ સમય પર કોઈ વ્યકિતના સ્થળની જાણ મેળવવા માટે સૌથી સારો પુરાવો છે. જ્યારે બચાવ પક્ષના વકીલોએ એવા લોકોના નામ આપવામાં કહ્યુ જેમના કોલ ડેટા રેકોર્ડસમાં નામ છે અને ષડયંત્ર રચ્યુ છે તો તામગડેએ અમિત શાહ, દિનેશ એમ.એન., વણઝારા, પાંડીયન, વિપુલ અગ્રવાલ, આશિષ પંડયા, એન.એચ. ડાભી અને જી.એસ. રાવના નામ આપ્યા હતા. જેમાં પંડયા, ડાભી અને રાવ ટ્રાયલનો સામનો કરી રહ્યા છે. જ્યારે બીજાઓને સાક્ષીઓ નહીં મળવાના કારણે છોડી મુકવામાં આવ્યા હતા. સીબીઆઈએ કથીત અપરાધથી પહેલા અને પછી આરોપીઓમાં આ પુરૂષના કોલ ડીટેઈલ્સ સામેલ કર્યા હતા. ટ્રાયલ કોર્ટે ત્યારે એ આરોપીઓને છોડી મુકતા કહ્યુ હતુ કે તેમની વિરૂદ્ધ કોઈ પુરાવા નથી. અત્રે એ નોંધનીય છે કે, ૨૮ ડીસેમ્બર ૨૦૦૬ના રોજ તુલસીરામનુ ગુજરાતના બનાસકાંઠામાં મોત થયુ હતું. રાજસ્થાનના પોલીસ અધિકારીઓને દાવો છે કે, અમદાવાદ કોર્ટમાં સુનાવણી દરમિયાન ઉદેપુર જેલ જતી વખતે તે અટકાયતમાંથી ભાગી ગયો હતો. સીબીઆઈનું કહેવુ છે કે, તુલસીરામ અને સોહરાબુદીને પોલીસ કર્મચારીઓ અને રાજનેતાઓની સાથે મળીને ખંડણીનુ રેકેટ ચલાવ્યુ હતું. તપાસ એજન્સીના જણાવ્યા પ્રમાણે ૨૩ નવેમ્બર ૨૦૦૫ના રોજ સોહરાબુદીન, તેની પત્નિ કૌસરબી અને તુલસીરામના અપહરણનું ષડયંત્ર રચાયુ હતુ. સીબીઆઈના ચાર્જશીટ મુજબ ૨૬ નવેમ્બર ૨૦૦૫ના રોજ સોહરાબુદીનનું કથીત અથડામણમાં મોત થયુ હતું, પરંતુ કૌસરબીની હત્યા કરવામાં આવી હતી. ગઈકાલે તામગડેએ કોર્ટને જણાવ્યુ હતુ કે જ્યારે મેં એપ્રિલ ૨૦૧૨માં તપાસ સંભાળી તો મારા અગાઉના લોકોએ સોહરાબુદ્ીન મામલાનો એક મોટો હિસ્સો પુરો કરી લીધો હતો. તેમણે કહ્યુ હતુ કે રાજસ્થાનના એક મારબલના વેપારી કટારીયા અને વિમલ પટણીના નિવેદનો નોંધાયા હતા, જ્યારે ડીફેન્સ વકીલ વહાબ રીયાજને પૂછાયુ તો તેણે કહ્યુ હતુ કે પુરાવા નષ્ટ થઈ ગયા છે કે નષ્ટ કરી દેવામાં આવ્યા છે. જો કે તેણે છોડી મુકવામાં આવ્યો હતો અને ત્યારથી કોર્ટે તેને સવાલ પુછવાની પરવાનગી નથી આપી. મુખ્ય તપાસ અધિકારીએ એક સવાલના જવાબમાં જણાવ્યુ હતુ કે, એ વખતના આરોપી અમિત શાહ, કટારીયા અને વિમલ પટણીના નિવેદન મેં ખુદ લીધા હતા અને તેના પર હસ્તાક્ષર પણ કર્યા હતા પરંતુ જ્યારે બચાવ પક્ષના વકીલે નિવેદનની કોપી જોવા માગી તો જાણવા મળ્યુ કે તે અદાલતના રેકોર્ડમાં જ ન હતા. જજ શર્માના પુછવા પર સીબીઆઈએ કહ્યુ હતુ કે નિવેદન સીબીઆઈની ઓફિસમાં છે.