રાજ્ય સરકારે બજેટમાં ખેતી ક્ષેત્ર માટે રૂ. ૨૦૦ કરોડની જાગવાઇ કરી છે પરંતુ લાખણી સહીત જિલ્લાના ખેડૂતોને કોઇ રાહત કે સહાય મળી નથી. તેથી ખેડૂતો માથે દેવાનો બોજ વધતો જાય છે ત્યારે બટાટા સહીતના રવિ પાકોના ભાવ તળીયે છે. તેથી જગતના તાતને બચાવવા સરકાર કમ સે કમ રાયડાની ટેકાના ભાવે ખરીદી કરે તેવી માંગ ઉઠવા પામી છે.
આ બાબતે ભારતીય કિસાન સંઘ લાખણી શાખાના જગતાભાઇ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી બિયારણથી માંડી વીજ બીલમાં ધરખમ વધારો થયો છે. તેમ છતાં ખેડૂતો દેવું કરીને કુદરતી આફતો વચ્ચે પણ ખેતી પાકો પકવે છે પણ તેના પોષણક્ષમ ભાવો મળતા નથી. તેથી જગતનો તાત ઉત્તરોત્તર દેવામાં ડૂબી પાયમાલ બની ગયો છે. તેમ છતાં બજેટમાં ખેતી માટે રૂ. ૨૦૦ કરોડની જાગવાઇ કરી હોવાનો દાવો કરતી સરકારે ખેડૂતોને રોજની માત્ર રૂ. ૧૬.૪૩ સહાય ચૂકવવાની જાહેરાત કરી મશ્કરી કરી છે. ૨૦૧૫ અને ૨૦૧૭ ના વર્ષની અતિવૃષ્ટિ વખતનો ખેડૂતોને હજુ સુધી વિમો ચૂકવ્યો નથી. ૨૦૧૮ માં દુકાળ પડ્યો છે. તેમ છતાં સરકારે દેવા માફ નથી કર્યાં ઉલટાનું ખેતીને લગતા સાધનોમાં જી.એસ.ટી. લગાડી મોંઘાદાટ કરી દીધા છે.