પાણીપુરીના પાણીને ખાટું અને ચટાકેદાર બનાવવા ઓકઝેલિક એસિડ ભેળવાય છે

અમદાવાદ: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ ચોમાસામાં પાણીજન્ય રોગચાળા પર નિયંત્રણ મૂકવાના નથી આ બાબત તો સ્પષ્ટ જ છે, જોકે વડોદરાની જેમ અમદાવાદમાં પણ તંત્રે ગયા શુક્રવારે ૬ર પાણીપૂરીવાળાને ત્યાં દરોડા પાડીને ૬પ૦ કિલો બટાકા-ચણાનો મસાલો અને ૪૦ લિટર પાણીનો નાશ કર્યો હતો.
 
દરમિયાન શહેરના કેટલાક વિસ્તારમાં પાણીપૂરીના પાણીમાં ખટાશ લાવવા માટે એસિડ નાખવામાં આવતો હોઇ આ એસિડથી આંતરડાંનું કેન્સર થતું હોવાની વિગત જાણવા મળી છે.
 
પાણીપૂરીના પાણીમાં ભેળવાતા ઓકઝેલિક એસિડથી લાંબા ગાળે આંતરડાંનું કેન્સર થાય છે તેમ જણાવતાં આધારભૂત વર્તુળો વધુમાં કહે છે, કેટલાક પાણીપૂરીવાળા પાણીને વિભિન્ન રંગ આપવા તેમાં કેમિકલ નાખે છે. આવાં કેમિકલયુક્ત પાણીથી પણ હોજરી બગડે છે.
 
આંતરડાંને નુકસાન થાય છે. પાણીપૂરીની પૂરી બનાવવા હલકા તેલને ઉપયોગમાં લેવાય છે. પાણીપૂરીનો મસાલો પણ કેટલાક પાણીપૂરીવાળા સડેલા બટાકા-ચણાથી બનાવતા હોઇ તે પણ આરોગ્ય માટે નુકસાનકારક છે. બે વર્ષ પહેલાં તંત્રની તપાસમાં લાલદરવાજા આસપાસના વિસ્તારનો એક પાણીપૂરીવાળો પાણીમાં ઓકઝેલિક એસિડ ભેળવતો પકડાયો હતો. આ પાણીપૂરીવાળા વિરુદ્ધ તંત્રે કોર્ટમાં કેસ દાખલ કરતાં તેને એક વર્ષની કારાવાસની સજા થઇ હતી.
 
તંત્રની કાયદાની જોગવાઇ મુજબ આવા કિસ્સામાં ભેળસેળ માટે છ મહિનાથી ત્રણ વર્ષ સુધીની કારાવાસની સજા અને રૂ.ત્રણ લાખ સુધીનો દંડ ફટકારી શકાય છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.