રખેવાળ ન્યુઝ થરાદ: થરાદ તાલુકાના અસાસણ ગામના તેજાજી ઠાકોર ૨૭ વિઘા જમીન ધરાવે છે, જે તેમના નામે ચાલે છે.તેમને ત્રણ પુત્રો છે. જે જમીન બે ભાઇઓ વારસાગત તેમના ભાગે કરાવી આપવા માંગ કરે છે. પણ એક પુત્ર અમથાજી ખાતે કરી આપતા નથી. તેમજ હેમતાજીએ તે જમીનમાં બોર બનાવેલ છે. રવિવારની સાંજના સાડાચાર વાગ્યાના સુમારે હેમતાજી તથા તેની પત્ની દરીયાબેન પુત્ર પ્રેહલાદભાઇ અને પુત્રી હકીબેન તથા ખેગારજી અને તેમનો પુત્ર વસંતજી બધા હેમતાજીના બોર પર ગયા હતા. જ્યાં અમથુજી ઠાકોર અને તેમના બે પુત્રો ભરતજી અને જીવણજી પણ હાજર હતા. આ વખતે હેમતાજીએ ભાઇ અમથુજીને આપણી જમીન ત્રણેય ભાઇઓના નામે અલગ અલગ કરી દઇએ તેમ કહેતાં ત્રણેય પિતાપુત્ર એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને જમીન ખાતે કરવાની નથી તેમ કહીને અપશબ્દો બોલ્યા હતા. આથી તેમને અપશબ્દો બોલવાની ના પાડતાં મારી નાખો આજે તા આમને જીવતા જવા દેવા નથી તેમ કહીને ધારયા અને ધોકા વડે આડેધડ હુમલો કરીને પાંચને ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ૧૦૮ને જાણ કરાતાં તેમાં ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે થરાદની સરકારી હોસ્પીટલમા ખસેડાયા હતા.જે પૈકી હેમતાજી ઠાકોર ઉ.વ.૪૫ તથા વસંતજી ઠાકોર ઉ.વ.૧૫ને માથામાં ગંભીર ઇજાના કારણે વધુ સારવાર અર્થે પાલનપુર અને ત્યાંથી મહેસાણા ખસેડાયા હતા.ખેંગારજીની ફરિયાદના આધારે થરાદ પોલીસે ત્રણેય પિતાપુત્રો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવથી થરાદ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.