ડીસા : લાખણી તાલુકાના નાનાકાપરા ગામ ખાતે આવેલી દૂધ ડેરીમાં મંત્રી દ્વારા ગ્રાહકોનો પગાર નચૂકવવાના આક્ષેપ બાદ ડેરીના મંત્રી દ્વારા બનાસ ડેરીમાંથી ૪ લાખ રૂપિયાનું ઘી તેમજ ૭ લાખ રૂપિયાનું દાણ બારોબાર વેચ્યું હોવાનો નવો આક્ષેપ ગ્રાહકો દ્વારા કરવામાં આવ્યો હતો. તેમજ આ બાબતે બનાસડેરી ખાતે મૌખિક તેમજ લેખિત જાણ કરી હોવા છતાં પણ બનાસ ડેરી દ્વારા મંત્રી સાથે વ્યવહાર કર્યો હોવાનું ગ્રાહકોએ રોષ સાથે જણાવ્યું હતું.
લાખણી તાલુકાના નાનાકાપરા ગામે આવેલી બનાસડેરી સંચાલિત દૂધ ડેરીમાં મંત્રીના ભ્રષ્ટાચાર બાબતે બીજા દિવસે પણ ગ્રાહકો રોષ સાથે એકઠા થયા હતા. તેમજ મંત્રી દ્વારા એક પણ સાધારણ સભા બોલાવ્યા વગર વહીવટ કરાતો હોવાની સાથે સાથે ગ્રાહકો દ્વારા મંત્રીના વહિવટ બાબતે પાલનપુર બનાસડેરી ખાતે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હોવા છતાં બનાસડેરી દ્વારા ગ્રાહકોના પગાર ઉપર મંત્રીને ૪ લાખ રૂપિયાનું ઘી તેમજ ૭ લાખ રૂપિયાનું દાણ અપાયું હોવાનું તેમજ આ ઘી અને દાણ મંત્રી દ્વારા ગ્રાહકોને આપવાની જગ્યાએ બારોબાર વેચી માર્યુ હોવાનો આક્ષેપ કરી બનાસડેરીના કેટલાક કર્મચારીઓની પણ આમાં મિલીભગત હોવાનું ગ્રાહકોએ જણાવ્યું હતું તેમજ આ બાબતે ન્યાયીક તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી. તેમ છતા તંત્ર દ્વારા હજુ પણ આવી ઢીલી નીતિથી કાર્યવાહી કરાશે તેમજ ગ્રાહકોને ન્યાય નહીં અપાય તો આગામી દિવસોમાં ડેરીને તાળા મારવા સાથેના ઉગ્ર આંદોલન કરવાનો અણસાર આપ્યો હતો