રાંતેજ ગામની સીમમાં અને પ્રતાપનગર ગામ નજીક આવેલા બહુચરાજી જીજીએસ-1ના બંધ પડેલા પ્લાન્ટની ખુલ્લામાં રહેલી પાઇપમાં લીકેજ થતાં 25 ફૂટ ઊંચા કેમિકલયુક્ત પાણીના ફૂવારા ઉડતાં ગામલોકો ઘટના સ્થળે ટોળે વળ્યા હતા. જે અંગે ઓએનજીસીને રજૂઆત છતાં 24 કલાક બાદ પણ કોઇ સમારકામ નહીં થતાં ગામલોકોમાં રોષ પ્રસર્યો હતો.
રાંતેજના સરપંચ ગેમરભાઇ દેસાઇ અને પ્રતાપનગરના સરપંચ ભવાનભાઇ પટેલે ઓએનજીસીને જાણ કરવા છતાં લીકેજ બંધ કરાયું નથી. પાઇપ લાઇન લીકેજ થતાં તેનું કેમિકલ ઇન્દ્રપ-જાલિસણા કાંસના માર્ગે નાના તળાવમાં જતાં તેનું પાણી પીતા પશુઓ અને ખેતરમાં સિંચાઇ કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ઓએનજીસી પીઆરઓએ આ બાબતે અજાણ હોવાનું જણાવ્યું હતું.