વાવ તાલુકાનાં અસારાવાસ ગામથી માત્ર બે કિમીનાં અંતરે દૂર આવેલું સમલીપુરા ગામ ૧૫૦૦ લોકોની વસ્તી ધરાવતો પરા વિસ્તાર છે.તો અહીંયા ૪૦૦ થી પણ વધારે ગાયો તથા અન્ય વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ વસવાટ કરે છે. ત્યારે છેલ્લાં પંદર દિવસથી અહીંયા પીવાનું પાણી આવતું નથી. તો વળી તત્કાલીન જિલ્લા કલેક્ટર દ્વારા આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ માટે અહીંયા હરવા ફરવા સહિત પીવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે પાણી પુરવઠા વિભાગની બેદરકારીથી પંદર દિવસથી પાણી નહિ મળવાને કારણે ૪૦ ગાયોનાં મોતથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે.
સરહદી વાવ તાલુકામાં ઉનાળાનાં પ્રારંભે જ પીવાનાં પાણીની મોટી સમસ્યા ઊભી થાય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે. તો વળી પીવાનાં પાણીનાં અભાવે ગાયો, નીલગાય, ઘુડખર, સસલાં, સહિતનાં અનેક જીવો પીવાનાં પાણીનાં અભાવે ટળવળી રહ્યાં છે ત્યારે સત્વરે પાણીની સમસ્યા દૂર કરવાની માંગ ઉઠી છે.