પાટણ : એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી(આત્મા) દ્વારા સિદ્ધપુર તાલુકાના ચંદ્રાવતી ગામે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ કૃષિ સંલગ્ન યોજનાઓની માહિતી તથા ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીના સંગ્રહની પદ્ધતિ સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સમોડાના સિનિયર કૃષિ વૈજ્ઞાનિકશ્રી ઉપેશકુમાર દ્વારા ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીના ખેતીમાં ઉપયોગ સાથે તેના સંગ્રહ કેવી રીતે કરવો તથા તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. રોગ શાસ્ત્ર વિભાગના વિસ્તરણ નિયામકશ્રી ગુણવંતભાઈ પટેલ દ્વારા જમીનમાં રહેલા તત્વો અને તેની જાળવણી વિષે માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે જમીનની ઉત્પાદકતા જળવાઈ રહે તથા પાકની ગુણવત્તા પણ જળવાઈ રહે તે માટે જંતુનાશક દવાઓના સુચારૂ ઉપયોગ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
શિબિરમાં હાજર ખેડૂતોને કૃષિ પાકો સાથે સાથે બાગાયતી પાકોની ખેતી વિષેની જાણકારી આપતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સમોડાના બાગાયત વિસ્તરણ અધિકારીશ્રી સચિનભાઈ દરજીએ બાગયતી પાકો માટે ખેતીવાડી વિભાગમાંથી મળતી સહાય વિષે માહિતી આપી હતી. સાથે સાથે સિદ્ધપુર તાલુકાના વિસ્તરણ અધિકારીશ્રી ડી.આઈ.પટેલ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના તેમજ ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત મળતી સહાય તથા ઓનલાઈન અરજી પ્રક્રિયા વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ ચંદ્રવતી ગામે યોજાયેલી ખેડૂત તાલીમ શિબિરમાં સિદ્ધપુર તાલુકાના ચંદ્રાવતી, કનેસરા, નેદરા, બિલિયા અને વનાસણ સહિત આસપાસના ગામોના ૧૭૦થી પણ વધુ ખેડૂત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં ખેડૂતોની કૃષિલક્ષી સમસ્યાઓ સાંભળી ઉપસ્થિત કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા તેનું નિરાકરણ આપવામાં આવ્યું હતુ.