અમદાવાદ
ગુજરાત રાજ્યને જોડતી આંતરરાજ્ય અને જિલ્લાકક્ષાની તમામ પોલીસ ચેકપોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાનો વિવાદાસ્પદ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ કરેલા પરિપત્રમાં તાત્કાલિક અસરથી આ નિર્ણયની અમલવારી કરવામાં આવતા રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વાહનચેકીંગ સહિત પોઈન્ટ હટાવી લેવામાં આવ્યા છે અને અહીં ફરજ બજાવતા તમામ પોલીસજવાનોને જે તે શહેર-જિલ્લાની અન્ય કામગીરીમાં મૂકી દેવામાં આવ્યા હોવાનું પોલીસ અધિકારી સુત્રોનું કહેવુ છે. જો કે, આ વિવાદીત નિર્ણયને કારણે ગુનાખોરી સાથે સંકળાયેલા તત્વોને મોકળું મેગાન મળી શકે છે અને રાજ્યમાં દારૂની ડિલીવરી પણ બેરોકટોક શરૂ થઈ શકે છે. ગુજરાત રાજ્યની સ્થાપ્ના બાદ પહેલીવાર આ નિર્ણય લેવાયો છે.
રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ 23 ડિસેમ્બરે રાજ્યના તમામ પોલીસ કમિશનર, તમામ જિલ્લા અધિક્ષક, એટીએસ તથા કોસ્ટલ સિકયુરીટીના વડા સહિતના અધિકારીઓને ફેકસ મેસેજ કર્યો હતો. જેમાં તાત્કાલિક અસરથી ગુજરાતને જોડતી મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર ઉપરાંત દરિયાઈ પોલીસ ચેકપોસ્ટ હટાવી લેવા આદેશ આપ્યો હતો. અને આ ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારી-જવાનોને સ્થાનિક કક્ષાની કાયદો અને વ્યવસ્થાને આનુસંગિક ડયુટીમાં
તહેનાત કરી દેવા સૂચના આપવામાં આવી હતી.