ભુજમાં માસિક ધર્મની તપાસનો મામલોઃ મહિલા આયોગે સુઓમોટો દાખલ કરી તપાસનો આદેશ આપ્યો
ભુજમાં આવેલી સહજાનંદ ગર્લ્સ ઈન્ટસ્ટિટ્યુટમાં વિદ્યાર્થિનીઓને ક્લાસની બહાર કાઢી કપડાં ઉતારી માસિક ધર્મ અંગે તપાસ કરતાં ભારે વિવાદ ઉત્પન્ન થયો હતો. આ કોલેજ જ નહીં પણ સમગ્ર ગુજરાત માટે કલંકિત ઘટના સાબિત થઈ. ગુજરાત સહિત દેશ-વિદેશમાં પણ આ ઘટનાઓ અંગે ચર્ચા થઈ હતી. તો આ મામલે મહિલા આયોગની ટીમ પણ એક્ટિવ થઈ ગઈ હતી. મહિલા આયોગની ટીમે આ મામલે તપાસના આદેશ આપી દીધા છે.
કચ્છમાં વિદ્યાર્થિનીઓના શોષણ મામલે મહિલા આયોગે તપાસના આદેશ આપ્યા છે. મહિલા આયોગના અધ્યક્ષ લીલાબહેન અંકોલીયાએ જણાવ્યું કે, ભુજમાં કંઈપણ થયુ તે નિંદનીય છે. મહિલા આયોગે સુઓમોટો દાખલ કરી છે અને પોલીસ પાસે તેનો રિપોર્ટ માગ્યો છે. દીકરીઓ પર થતી જાતીય સતામણી સામે પગલાં લેવાશે. જિલ્લા પોલીસ વડા પાસે મહિલા આયોગ દ્વારા રિપોર્ટ માગવામાં આવ્યો છે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે, નારી અદાલતની બહેનોને તપાસ કરી રિપોર્ટ સોંપવા સૂચન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં અમે કાયદાકીય કાર્યવાહી કરીશું.
ભુજમાં આવેલી સહજાનંદર ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટ દ્વારા વિદ્યાર્થિનીઓને ક્લાસ રૂમમાંથી બહાર કાઢી માસિક ધર્મ અંગે પુછતાછ કરવામાં આવી હતી. પૂછતાછ બાદ વિદ્યાર્થિનીઓને વોશરૂમમાં લઈ જઈ કપડાં ઉતારી માસિક ધર્મમાં છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી હતી. જે બાદ વિદ્યાર્થિનીઓએ ભારે વિરોધ નોંધાવતાં આ ઘટના પ્રકાશમાં આવી હતી.
આ ઘટના સામે આવ્યા બાદ કોલેજના સંચાલકોએ પણ એક બેઠક યોજી હતી. જેમાં આ કાંડમાં સામેલ તમામ જવાબદાર લોકો સામે કડકડમાં કડક પગલાં લેવામાં આશે તેમ જણાવવામાં આવ્યું હતું. તો બીજી બાજુ કચ્છ યુનિવર્સિટીની તપાસ કમિટી પણ આ મામલે આજે કલેક્ટરને પોતાનો તપાસ રિપોર્ટ સોંપશે.