ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. યોગી આદિત્યનાથ સ્ટેચ્યૂ ઓફ યુનિટી, વેલી ઓફ ફ્લાવર્સ, ટેન્ટ સિટી અને મ્યુઝિયમ સહિતના આકર્ષણો નિહાળીને પ્રભાવિત થયા હતા. જોકે યોગી આદિત્યનાથ અને વિજય રૂપાણીની મુલાકાત સમયે આદિવાસી સંગઠનોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ સમયે પોલીસે વિરોધ કરી રહેલા ત્રણ કાર્યકરોની અટકાયત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ કર્યા બાદ હવે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ રોજેરોજ કેવડિયા આવીને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે. જે અંતર્ગત આજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે સવારે કેવડિયા ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. જેમાં તેઓ સરદાર પટેલની વિશાળ પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી, વેલી ઓફ ફ્લાવર્સ, ટેન્ટ સિટી અને મ્યુઝિયમ સહિતના તમામ આકર્ષણો નિહાળ્યા હતા. આ મુલાકાત સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ તેમની સાથે રહ્યા હતા. યોગી આદિત્યનાથના આગમન સમયે આદિવાસી સંગઠનોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા ત્રણ કાર્યકરોની અટકાયત કરીને રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે લઇ ગઇ હતી.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ સરદાર સાહેબને ભાવાંજલી આપતાં કહ્યું કે, દેશની એકતા અખંડિતતાના આ શિલ્પીની વિરાટત્તમ પ્રતિમા રાષ્ટ્રની વૈશ્વિક ઓળખ બની છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજન અને દ્રઢ સંકલ્પ સાથે સરદાર સાહેબની વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમાનું નિર્માણ કરાવીને સરદાર સાહેબ અને ગુજરાતનું ગૌરવ ઉન્નત કર્યુ છે તેમ પણ ઉમેર્યુ હતું.
યોગી આદિત્યનાથજીએ વધુમાં જણાવ્યું હતું કે, પ૬ર રજવાડાઓને એક કરીને ભારત વર્ષને એકતાના તાંતણે બાંધનારા સરદાર સાહેબનું આ કાર્ય આવનારા યુગો સુધી યુવા પેઢીને પ્રેરણા આપશે અને રાષ્ટ્રચેતનાનો સંચાર કરશે.
સરદાર સાહેબની કલ્પનાને સરદાર સરોવ બંધના નિર્માણ સાથે સાકાર કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના કિસાનોને સિંચાઇની સુવિધા આપીને, ગુજરાતને સમૃદ્વિ તરફ
લઇ જવા વિકાસના દ્વાર ખોલી આપ્યા છે. એવી આ ભુમિના સ્થાનિક આદિવાસીઓ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને વર્લ્ડ કલાસ ટૂરિઝમ સેન્ટર તરીકે વિકસાવીને ટૂરીસ્ટ ગાઇડ તરીકે રોજગાર અવસર પૂરા પાડ્યા છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા.