સાબરમતીના તટે આવેલ અને ત્રિ-વેણી સંગમ ધરાવતા પ્રાચીન સપ્તેશ્વર ધામ તથા ઇડરીયા ગઢના તળેટીમાં આવેલા ખોખાનાથ મહાદેવ મંદિરના વિકાસકાર્યોનું ભૂમિપુજન પાણીપુરવઠા અને જિલ્લા પ્રભારી મંત્રી પરબતભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક પ્રવચન કરતા મંત્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે, પ્રવાસીઓના આનંદ પ્રમોદને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આવા પૌરાણિક સ્થળોએ વિશેષ સવલતો ઉભી કરવામાં આવી છે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો વિજયનગરની પોળોનો વિકાસ હાથ ધર્યા બાદ આજે મોટી સંખ્યમાં ત્યાં પ્રવાસીઓ આવી રહ્યા છે. તેવી રીતે સપ્તેશ્વર ધામમાં આવતા શ્રધ્ધાળુઓને ભક્તિ સાથે પ્રવાસનનો પણ લાભ મળી શકે તે માટે રૂ. ૩.૮૦ કરોડના ખર્ચે સ્નાનાગૃહ, ઘાટ, બાળકો માટે રમત ગમતના સાધનો તથા બગીચા તેમજ રોકાણ અર્થે વિશાળ રહેણાંક ગૃહનું નિર્માણ કરવામાં આવશે. આ સ્થળના વિકાસ સાથે સ્થાનિક લોકોને રોજગારી પણ પેદા થશે તેમ તેમણે ઉમેર્યુ હતું. મંત્રીએ ઇડરમાં રૂ. ચાર કરોડના ખર્ચે નવિન આકાર વિકાસ કાર્યોની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, ઇતિહાસના પુરાણોમાં નામના ધરાવતા ઇડરીયા ગઢની ઓળખ કાયમ રાખવા પ્રવાસન વિભાગ દ્વારા દોલતવિલાસ પેલેસની કાયાપલટ કરવમાં આવશે સાથો સાથ આસપાસના સ્થળોનો પણ વિકાસ હાથ ધરવામાં આવશે, આમ રાજયના નાનામાં નાના પ્રવાસન સ્થળોના વિકાસકાર્યોને વેગ આપવાનું કામ રાજય સરકાર કરી રહી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. ઇડરના વિકાસ કાર્યોમાં સપ્તેશ્વરધામના ખાત મુહૂર્ત પ્રસંગે પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડીયા, ઇડર જિલ્લા અગ્રણી તખતસિંહ હડિયોલ, અશોકભાઇ જોષી, અશ્વિનભાઇ પટેલ, ટ્રસ્ટના પ્રમુખ , ગામના સરપંચ તથા આસપાસના ગ્રામજનો તેમજ ઇડર શહેરના કામોના ભૂમિપુજન દરમિયાન નગરપાલિકા પ્રમુખ શ્રીમતી જસવંતકુમારી વાધેલા,અધિક કલેકટર વી.એલ.પટેલ, પ્રાંત અધિકારી દેસાઇ સહિત શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.