હિંમતનગર શહેરને અડીને આવેલા પહેલા સવગઢ પંચાયતમાં સમાવિષ્ટ માલીવાડા ગામને બે-એક વર્ષ અગાઉ સવગઢ પંચાયતનું વિભાજન કરી અલગ પંચાયત બનાવવામાં આવી પરંતુ આ વિસ્તાર જયારે સવગઢ પંચાયતમાં હતો ત્યારથી વિકાસથી વંચિત છે તેના પાછળનું માત્ર કારણ એટલુજ છે કે આ વિસ્તારમાંથી ચૂંટાયેલા સભ્યો પૈકી કેટલાક સભ્યોને પોતાના વિકાસમાંજ રસ હતો તેમના હૈયે ક્યારેય ગામનો વિકાસ વસ્યોજ ન હતો. સમગ્ર દેશ સહીત રાજ્યના કેટલાક વિસ્તારો અને સાબરકાંઠા અને અરવલ્લીની કેટલીક ગ્રામ પંચાયતો વિશ્વ લેવલે ખ્યાતી પામી નામના મેળવી રહી છે. ત્યારે માલીવાડા ગામ આજે પણ ૧૫મી સદીમાં જીવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે આ ગામના રોડ રસ્તાઓ આજે પણ તૂટેલા અને ભંગાર હાલતમાં છે. ગામમાં તાજેતરમાં આવેલી ગ્રાન્ટમાંથી કેટલાક સભ્યોએ પોતાના વિસ્તારમાં ગટર લાઈન નાંખી દીધી પરંતુ ગંદા પાણીનો નિકાલ ક્યાં કરવો તે તેમને પણ ખબર નથી. ગટરલાઇનના જે કામ થયા છે તેમાં પણ નર્યો ભ્રષ્ટાચાર થયો છે. જે વિસ્તારોમાં પાઈપો નાખવામાં આવી છે તે વિસ્તારોમાં માત્ર ૧ ફૂટ અથવા દોઢ ફૂટની ઊંડાઈએ આડેધડ પાઈપો નાંખી દેવાઈ છે. શહેરને અડીને આવેલ આ વિસ્તાર હોવા છતાં ગાંડા બાવળોના ઝુંડ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે.
આ વિસ્તારમાં ચોમેર ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. સ્ટ્રીટ લાઈટો પણ મોટાભાગના વિસ્તારમાં બંધ જોવા મળી રહી છે.આખાય ગામમાં કોઈ જગ્યાએ જાહેરમાં સૌચાલય નથી. આ અંગે આ વિસ્તારની યુવા કાર્યકર સાનિયા દીવાને ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆત કરી છે અને પ્રતિક તેમજ આમરણાંત ઉપવાસ પણ કર્યા છે તંત્ર ધ્વારા આશ્વાસન સિવાય બીજુ કંઈ આપવામાં આવ્યું નથી.
જ્યારે બીજી બાજુ વાળજ ચીભડા ગળતી હોય તેવો ઘાટ ઘડાયો છે તેમ આ વિસ્તારના છેલ્લા ત્રણ ટર્મથી ચૂંટાઈને આવતા અને હાલના સામજિક ન્યાય સમિતીના ચેરમેન પારૂલબેન મકવાણા ધ્વારા ભ્રષ્ટાચાર અને સરકારી રેકર્ડ સાથે ચેડા કર્યા કેટલીક ફરિયાદો ઉઠવા પામી છે. જેમાં પારૂલબેન મકવાણા હાલ જે મકાનમાં રહે છે તે મકાન નં. ૨૮૮ જે મકાનનો પ્લોટ અને સણંદ સોનસિંહ ભાટીને સરકારના નિયમો અનુસાર રાહતના પ્લોટ તરીકે ફાળવવામાં આવ્યો હતો જે તબદીલને પાત્ર હોતો નથી અને આ પારૂલબેન સોનસિંહ ભાટીના સીધી લીટીના કોઈ વારસદાર ન હોવા છતાં સત્તાનો દુર ઉપયોગ કરી આ મકાન પોતાના સ્વર્ગીય પતિ કાંન્તીભાઈ મફાભાઈ મકવાણાના નામે ચઢાવી દીધેલ છે. ે બીજા કિસ્સામાં બળવંતભાઈ પ્રેમજીભાઈ મકવાણાના નામે સરકારી રાહતનો પ્લોટ આવેલ છે. જેનો હાલનો મકાન નંઃ-૩૮૮/૨ છે. તે પોતાના પુત્ર સાહિલ કુમાર કાન્તીભાઈ મકવાણા નામે રેકર્ડ સાથે ચેડા કરી નીતિ-નિયમોનો ભંગ કરી હાલના રેકર્ડ પર ચઢાંવવાનું કૃત્ય આચરી નિયમોનો ખુલ્લેઆમ ભંગ કર્યો છે.
પારૂલબેન મકવાણા સભ્ય તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન હોવા છતાં ગ્રામ પંચાયત દ્વારા ચલવવામાં આવતા વોટર વર્કસના બોર ઉપર પોતાની સત્તાનો દુરુપયોગ કરી તેમના પુત્રને નોકરીએ રાખી પંચાયતમાંથી પગાર બોનસ અને અન્ય ભથ્થાઓ મેળવી નિયમોનો સરેઆમ ભંગ કરે છે.